રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.આ ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી પી સી બરંડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસર્વધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને ૧૫૦ વર્ષ પૂરા થાય છે. એક મહાપુરુષ, શક્તિશાળી ક્રાંતિકારીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પગલું આપણા અને દરેક સમાજ માટે એકતાના પ્રતીક સમાન છે. ૨૫ વર્ષની યુવાન વયે અંગ્રેજો સામે બાથ ભીડનારા ભગવાન બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારોને જન-જન સુધી પહોંચાડવાની આ યાત્રા માત્ર આદિવાસીઓ માટે જ નહીં, પરંતુ દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીશ્રીનું ૨૦૪૭નું વિકસિત ભારત બનાવવાનું સપનું પૂર્ણ કરવા આદિવાસી સમુદાય અન્ય સમાજોની સાથે કદમથી કદમ મિલાવી આગળ વધે.

