ભરૂચ શહેરમાં આસો સુદ નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં પાર્ટી પ્લોટની સાથે હવે સોસાયટી અને શેરી ગરબામાં પણ મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમી રહ્યા છે. આ વર્ષે નવરાત્રીમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી અયોધ્યા નગર સોસાયટીના યુવાનોએ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કર્યું છે. આ આયોજનમાં સોસાયટીના યુવક-યુવતીઓ અને આસપાસના વિસ્તારના લોકો ડીજેના તાલે ગરબાની મજા માણી રહ્યા છે. આ પ્રકારના આયોજનોથી સમાજમાં એકતા અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સોસાયટીના ગરબા આયોજકો દ્વારા ગરબા રમવા આવતા તમામ યુવાનો અને મહિલાઓ માટે મનોરંજનની સાથે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું કે આ ગરબા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ માતાજીની આરાધનાની સાથે સાથે સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો છે. સોસાયટી અને આસ-પાસના રહેવાસીઓ આ નવરાત્રી મહોત્સવને ખૂબ જ ઉત્સાહથી માણી રહ્યા છે.
