ભરૂચ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ ભયજનક સ્તરે પહોંચી ગયો છે. શક્તિનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં હિંસક બનેલી એક ગાયે બે અલગ-અલગ ઘટનામાં વાહનચાલકો પર હુમલો કર્યો હતો. બંને કિસ્સામાં બાઇક સવારો રોડ પર પટકાયા હતા.

પહેલી ઘટનામાં શ્રવણ ચોકડી પાસે એક બાઇકચાલકને ગાયે પટકી દીધો હતો. જયારે બીજી ઘટનામાં HDFC બેંક સામે એક પિતા-પુત્ર રોડની સાઇડમાં ઊભા હતા ત્યારે ગાયે હુમલો કર્યો હતો, જેમાં બંને રોડ પર પટકાયા હતા. તેમને બચાવવા આવેલા એક લારીધારક પણ પટકાયા હતા.
સદભાગ્યે આ બંને બનાવોમાં બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ શહેરીજનોમાં ભય ફેલાયો છે.
શ્રવણ ચોકડીથી પાંચબત્તી સુધીના 3 કિમીના રોડ પર દર 100 મીટરે રખડતાં પશુઓનો અડિંગો જોવા મળે છે, જેમાં શક્તિનાથ અને સેવાશ્રમ રોડના શાકમાર્કેટ વિસ્તાર મુખ્ય છે.
ચોમાસાની શરૂઆત સાથે વધી રહેલા આ ત્રાસને નિયંત્રિત કરવા માટે પાલિકાએ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ કાયમી ધોરણે ફરી શરૂ કરે તેવી શહેરીજનોની ઉગ્ર માંગ છે.

