ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી ( દિલ્હી ) ની TOD ( ટ્રાયલ ઓન ડીમાન્ડ ) ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેઈન શરુ થાય તે ભાવનગરના નાગરીકો માટે જરૂરી છે. હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે આવતી-જતી ( ફૂલરેક ) ચાલતી ટ્રેઈન દરેક અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ચાલે છે અને ચાર દિવસ સુધી બિલ્કુલ ફ્રી પડી રહે છે. આ જ ટ્રેઈન ( રેક ) ને કમ સે કમ અઠવાડિયામાં એક વખત ભાવનગરથી દિલ્હીના કોઈપણ સ્ટેશન સુધી ચલાવી શકાય તેમ છે આથી અઠવાડિયામાં એક ટ્રેઈન ભાવનગરને સીધી ભાવનગરથી દિલ્હીની મળી શકશે તેવી રજૂઆત કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રીશ્રીને કરી છે.

ભાવનગરથી વેરાવળ અને ભાવનગરથી પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેઇનોમાં ઘણું લાંબુ અંતર થતું હોય તે ટ્રેઇનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરવી જરૂરી છે. અને આ ટ્રેઈનમાં વધારાનો એક (AC ચેર કાર) કોચ જોડવો જરૂરી છે, જેથી સિનિયર સીટીઝન ( બુજર્ગો ) , મહિલા અને બાળકોને આરામ દાયક મુસાફરીની સુવિધા મળી શકે.
ભાવનગર ટર્મિનસ ઉપર ટ્રેઇનોના ઇન્સ્પેકશન , સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પિટ લાઈન ઉપલબ્ધ છે જે અપૂરતી છે. માટે બે વધારાની પીટ લાઈન્સ બનાવવી જરૂરી છે. ભાવનગર ખાતે ટ્રેઈન શન્ટિંગ માટે પણ પુરતી ટ્રેક નથી. માટે ચાર નવા શન્ટિંગ ટ્રેક ભાવનગર માટે જરૂરી છે અને આ માટે ભાવનગર ખાતે રેલ્વે ટર્મિનલ ઉપર પુરતી જમીન પણ ઉપલબ્ધ છે. ભાવનગર ખાતે હવાઈ સેવાઓ પણ બંધ પડેલ છે. ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકીંગ યાર્ડ , પાલીતાણા ખાતેના જૈન તીર્થ , બગદાણા અને તલગાજરડા જેવા પ્રસિદ્ધ આશ્રમો આવેલા છે ત્યારે યાત્રીકોને પણ દિલ્હી માટે આવવા જવાની આ સુવિધાઓ અત્યંત જરૂરી બને છે. આ બધી જ બાબતોને આવરી લઈને સંસદ સભ્યશ્રી શ્રી શક્તિસિંહ ગોહિલે રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ભાવનગરથી દિલ્હીની રેલ્વે માટેની સુવિધાની માંગણી કરેલ છે.
