ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલના રસ્તા પર તંત્રની બેદરકારી અને અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક ગંભીર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. શાહપુરા તરફ જવાના નવા બનેલા ડામર રસ્તા પર સુરક્ષા માટે લગાવાયેલી લોખંડની રેલિંગ તૂટીને રસ્તા પર પડી હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહી કેનાલ ઠાસરા પેટા વિભાગની કચેરી દ્વારા તાજેતરમાં બનેલા નવા ડામર રસ્તાના રક્ષણ માટે અને અકસ્માતો અટકાવવા માટે બાધરપુરા કોતરિયા પુલ પાસે લોખંડની રેલિંગ (બેરિયર) લગાવવામાં આવી હતી. આ રેલિંગ લગાવવાનો મુખ્ય હેતુ લાકડા ભરેલા ટ્રેક્ટર કે દૂધના ટેન્કર જેવા ભારે વાહનોને પસાર થતા રોકવાનો હતો. પરંતુ, છેલ્લા ચાર-પાંચ દિવસમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે આ રેલિંગને જોરદાર ટક્કર મારી તોડી પાડી છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે લોખંડની વજનદાર એંગલ લગભગ ૧૦૦ ફૂટ જેટલી ઘસડાઈને રસ્તાની વચ્ચે આવી ગઈ છે. આ લોખંડની એંગલો રસ્તા પર આશરે ત્રણ ફૂટ જેટલી બહાર નીકળેલી હાલતમાં પડી છે.જે રાત્રિના અંધકારમાં અજાણ્યા વાહનચાલકોને આ લોખંડની એંગલ દેખાતી નથી. જેથી કોઈ દ્વિચક્રી કે નાનું વાહન આ એંગલ સાથે અથડાય, તો ચાલક સીધો મહી કેનાલમાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા છે. બાધરપુરા અને શાહપુરાના નાગરિકોની માંગ છે કે મહી કેનાલ ઠાસરા વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે અને રસ્તા પર પડેલી આ જોખમી એંગલો હટાવી રસ્તો ખુલ્લો કરે.

