માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે. આ જોતાં ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે. પાક નુકસાનીનો સરવે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે, ખેતીને એટલું નુકસાન પહોચ્યું છે કે, સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી.ચાલુ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે લાભદાયી ઓછુ નિવડ્યું છે જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે. ભારે વરસાદ વરસતાં લગભગ ચોમાસું પાક લઈ શકાયો નથી. હજુ તો પાક નુકસાનીના સરવેને લઈને ખુદ સરકારમાં જ વિસંગતતા સર્જાઈ છે કેમ કે, કૃષિવિભાગના પરિપત્ર મુજબ, 20 દિવસમાં સરવે આટોપી લેવાશે. કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે, સાત દિવસમાં સરવે પૂર્ણ થઈ જશે. હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, ત્રણ દિવસમાં સરવે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાશે. હવે સાચુ શું? હજી સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી પરિણામે ખેડૂતો રોષે ભરાયા છે. એટલું જ નહીં, વિસંગતતા ઊભી થતાં ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વસનીયતા ઘટી છે.

દેવું માફ કરવાની માંગ
ખેડૂતોનું કહેવું છે કે, મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ છે. બૅન્કમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે સાથે ખેડૂતોનું બૅન્ક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોએ સવાલ કર્યો છે કે, જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?

