વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ ૨૦૨૬ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો હતો.

ભારતીય ઉદ્યોગજગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા શ્રી મુકેશભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંતભાઈ અંબાણીએ સહપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા.
શાસ્ત્રોક્ત પૂજાનો લ્હાવો:
નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી, પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કુલસોમેશ્વર મહા પૂજા કરી હતી. આ ઉપરાંત, ‘ધ્વજા પૂજા’ અને ભક્તોમાં જેનું વિશેષ મહત્વ છે તેવી ‘પાઘ પૂજા’ કરીને રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
વારસાનું વંદન
બાણ સ્તંભની મુલાકાત:
દર્શન બાદ, સમગ્ર પરિવારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના વિજ્ઞાનિક અને ભૌગોલિક વારસાના અદભુત પ્રતિક સમાન ‘બાણ સ્તંભ’ની મુલાકાત લીધી હતી. જ્યાથી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ ભાગ નથી આવતો તેવા અબાધિત સમુદ્રમાર્ગ દર્શાવતા આ સ્તંભને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વૈજ્ઞાનિક વિરાસત પ્રત્યે ગૌરવ વ્યક્ત કર્યું હતું.
રૂ.૫ કરોડ શિવાર્પણ:
સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા શ્રી મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને કરોડો શ્રદ્ધાળુઓ માટેની યાત્રીલક્ષી સુવિધાઓના વિકાસ કાર્યો હેતુ રૂ. ૫ કરોડ ‘શિવાર્પણ’ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી પરેશભાઈ ચાવડા એ અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
REPOTER : દિપક જોષી

