વાલીયા તાલુકાના ઘોડા ગામમાં સૂચિત સોલાર પ્લાન્ટનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે આ પ્રોજેક્ટના કારણે તેમની ખેતીની જમીનને પાણી પૂરું પાડતી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનને નુકસાન થશે, જેનાથી 281 એકર જમીન સિંચાઈથી વંચિત રહી જવાનો ભય છે.

એક ખાનગી કંપની દ્વારા ઘોડા ગામની 140 એકર જમીન પર સોલાર પ્લાન્ટ નાખવાનું આયોજન છે. ખેડૂતોએ ઝઘડિયા એસડીએમ સમક્ષ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, આ પ્લાન્ટના નિર્માણ દરમિયાન થનારા પાઇલિંગથી ઉકાઈ કેનાલમાંથી ખેતરો સુધી પાણી પહોંચાડતી પાઇપલાઇન તૂટી જવાની શક્યતા છે.ખેડૂતોએ માગણી કરી છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ જમીનને બિનખેતી (NA) જાહેર ન કરવામાં આવે અને સોલાર પ્રોજેક્ટ રદ કરવામાં આવે. ઘોડા, જોલી અને કરા ગામના ખેડૂતોએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને રજૂઆત કરી છે.
