શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વેગ આપતા સમાચારમાં ભરૂચ જિલ્લાની દયાદરા હાઈસ્કૂલના શિક્ષક ડૉ. ઈમ્તીયાઝભાઈ ઘાંચીની વિશેષ સિદ્ધિ સામે આવી છે. GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET નવસારી દ્વારા આયોજિત દક્ષિણ ઝોન કક્ષાની ‘રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સ’માં તેમનું સંશોધન પત્ર રાજ્ય કક્ષાની કોન્ફરન્સ માટે પસંદગી પામ્યું છે.

નવસારી ખાતે ૭ જાન્યુઆરીના રોજ યોજાયેલી આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના સંશોધકોએ ભાગ લીધો હતો. જેની મુખ્ય થીમ ‘વિધાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા’ હતી. ડૉ. ઈમ્તીયાઝભાઈએ ‘The Efficacy of AI tools in Poetry Instruction for ESL Learners’ વિષય પર પોતાનું ક્રિયાત્મક સંશોધન રજૂ કર્યું હતું. આ સંશોધન પત્રમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સાધનો દ્વારા અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે શીખતા વિદ્યાર્થીઓ માટે કાવ્ય શિક્ષણને કેવી રીતે સરળ અને અસરકારક બનાવી શકાય, તેનું જીવંત નિદર્શન કર્યું હતું. આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીના આ સમન્વયને નિર્ણાયકોએ બિરદાવ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ ભરૂચ શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

