પાટડી તાલુકાના નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા રવિવારે આપણી સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સામાજીક સમરસતા, સદભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ અર્થે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા માંડવી ચોક, નવાગામ – ખારાઘોડા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પધારેલા સાધુ-સંતો સહિતના મહેમાનોનું સામૈયું કરી કુમકુમ તિલક દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને વિરાટ હિન્દુ સંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેગામ ગૂરૂકૃપા આશ્રમના શ્રી ચંદુબાપુ, મુલાડાના શ્રી કરશનદાસ બાપુ, શ્રી હસાબાપુ, બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘુમંતુ કાર્યના સુરેન્દ્રનગર વિભાગ સંયોજક નીલકંઠભાઇ વાસુકિયા અને પ્રખ્યાત સુંદરકાંડ આરાધક મનસુખભાઇ પટેલ(રાધે) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બ્રહ્માકુમારીઝ પ્રિયાદીદી દ્વારા આશિર્વચન આપતા સનાતન હિન્દુ ધર્મ, આપણા આસ્થાના કેન્દ્રો, વિશ્વ શાંતિ સહિતના મુદ્દે વાત રજુ કરવામાં આવી હતી. હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા નીલકંઠભાઇ વાસુકિયા દ્વારા આપણે કોણ છીએ, સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પુર્વેની સ્થિતી, સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ.
વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ – સંતો, મહેમાનો સાથે વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. નવાગામ મંડલ હિન્દુ સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનમાં સેવા – યોગદાન આપનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ

