દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વતન જવા માટે લોકોનો બસ અને રેલવે સ્ટેશનો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખાનગી બસ સંચાલકો દ્વારા સામાન્ય ભાડા કરતા બમણાથી વધુ ભાડા વસૂલીને પ્રવાસીઓની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે,

જેના કારણે કતારગામથી કામરેજ સુધી ખાનગી બસોનો જમાવડો રાત્રીના સમયે જોવા મળી રહ્યો છે.દિપોત્સવ પર્વને લઇને સુરતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાઓમાં પરિવાર સાથે લોકો જવા રવાના થઈ રહ્યા છે. સુરત શહેરમાં બસોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે.પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, હીરા ઉઘોગમાં પણ વેકેશનની જાહેરાત થવા લાગી છે ત્યારે સુરત શહેરમાં રહેતા લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેર કે ગામડે જવા માટે રવાના થઇ રહ્યા છે. સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઈલ સીટી તરીકે જાણીતું શહેર છે. ગુજરાતના અનેક ગામડાઓમાંથી લોકો રોજગારી અર્થે સુરત શહેરમાં વસે છે અને દિવાળીના સમયે લોકો માદરે વતન જવા રવાના થતા હોય છે ત્યારે હાલમાં દિવાળીનો તહેવાર નજીક હોય લોકો પરિવાર સાથે માદરે વતન જવા રવાના થઇ રહ્યા છે.

આ પ્રવાસીઓ, ખાસ કરીને રત્નકલાકારો, ખાનગી બસ સંચાલકોની ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા છે. સામાન્ય દિવસોની સરખામણીએ ભાડાં બમણાંથી પણ વધુ વસૂલવામાં આવી રહ્યા છે. લક્ઝરી બસના ડબલ સોફા બોક્સનો ભાવ 2800 થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેમાં ઘણીવાર બેની ક્ષમતાવાળી જગ્યાએ ચાર લોકોને બેસાડી વ્યક્તિ દીઠ 1000 રૂપિયા લેખે 3000 થી 4000 રૂપિયા વસૂલવામાં આવે છે. ભાવનગર જવા માટે સિંગલ સોફાનું ભાડું જે 600 રૂપિયા હોય છે, તે હાલ 1400 રૂપિયા અને અમરેલી માટે 600 ના 1200 રૂપિયા લેવાય રહ્યા છે.રાત્રીના સમયે, કતારગામથી કામરેજ સુધીના 15 કિલોમીટરના રોડ પર 10 કિલોમીટરના વિસ્તારમાં ખાનગી બસોનો મેળાવડો જોવા મળે છે. ગૌશાળા, રિદ્ધિ સિદ્ધિ, હીરાબાગ, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા ઢાળ, સરથાણા જકાતનાકા સહિતના અનેક પોઈન્ટ પર બસો ઉભી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, અને બસોના થપ્પા લાગી ગયા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે.સુરતના રેલ્વે સ્ટેશનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે. સુરત શહેરમાં વરછા વિસ્તારમાં રાત પડતા જ બસોની લાંબી કતારો જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો બસોમાં બેસીને પોતાના માદરે વતન પહોચી રહ્યા છે.
રિપોર્ટર: સુનિલ ગાંજાવાલા

