સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં, ત્રણ વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હતું. શ્રી રામ નિષાદનો પુત્ર દિવ્યેશ રમતા-રમતા ઘરની બહાર નીકળ્યો અને લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આખરે, ઘર નજીક આવેલી પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું જોતા તેમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશીઓની મદદથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ફરજ પરના તબીબો તેને બચાવી શક્યા ન હતા અને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
આ ઘટનાને પગલે નિષાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટાંકી કોની માલિકીની છે અને કોની બેદરકારીને કારણે તેનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જો તપાસમાં કોઈની લાપરવાહી સામે આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે
.માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
આ કરૂણ ઘટનાએ ફરી એકવાર તમામ માતા-પિતા અને રહેવાસીઓ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. ઘરની આસપાસ આવેલી પાણીની ટાંકીઓ, ખાડા કે બોરવેલના ઢાંકણા હંમેશા સુરક્ષિત રીતે બંધ રાખવા અને નાના બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

