શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત ખાતેના 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ત્રણ દિવસ શ્રધ્ધાનો મહાસાગર છલકાયો હતો. આ મહોત્સવના અંતિમ દિવસે (પહેલી ફેબ્રુઆરી) માઘી પૂનમે 1.43 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી. ત્રણ દિવસમાં 3.9 લાખ ભક્તોએ ગબ્બર પર્વર પર 51 શક્તિપીઠની પરિક્રમાનો લાભ લીધો હતો અને આ મહોત્સવ દરમિયાન 5.01 લાખ ભક્તો ઉમટ્યા હતા.
અંબાજીમાં મૂળ સ્તાન એવા ગબ્બરની પર્વત પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે માઇભક્તો ઉમટી પડ્યા હતા અને માઘી પૂનમનું મહત્ત્વ હોવાથી વહેલી સવારથી ભક્તોનો અંબાજીમાં ધસારો જોવા મળ્યો હતો અને બોલ માડી અંબે જય જય અંબે અને જય અંબે જય અંબે નાદથી અરવલ્લીની ગીરીમાળાઓ ગુંજી ઊઠી હતી. આ મહોત્સવના ત્રીજા દિવસે પરિક્રમા પથ દોડ સ્પર્ધામાં વિજેતા બનેલા ને પ્રોત્સાહિત એમાં રોકડ રકમ અને શીલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે 69,283, બીજા દિવસે 96,735 અને ત્રીજા દિવસે 1.43 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી અને અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે 35,773, બીજા દિવસે 49,032 અને આજે અંતિમ દિવસે 90,181 ભક્તોએ દર્શન કર્યાં હતા. જ્યારે પરિક્રમા મહોત્સવ દરમિયાન 16,378 લોકોએ રોપવેનો લાભ લીધો હતો. આ ઉપરાંત મહોત્સવ દરમિયાન 1.34 લાખ ભક્તોએ નિશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત 1.44 લાખ મોહનથાળના પેકેટ અને 12,198 પેકેટ ચીકીના વિતરણ કરાયા હતા.
51 શક્તિપીઠ મહોત્સવ દરમિયાન યાત્રિકોની સુખ-સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય આરટીઓ સર્કલ, જીએમડીસી ગ્રાઉન્ડ, કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
ગબ્બર પરિક્રમા મહોત્સવના ભાગરૂપે દર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1012 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. ઓપન, એમ્પ્લોઈ, બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં વિભાજિત કરાઈ હતી. દરેક કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને 5100 રૂપિયા, દ્વિતીયને 3100 રૂપિયા અને તૃતિય સ્થાન મેળવનારને 2100 રૂપિયાનું રોકડ ઇનામ અપાયું હતું. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને 200 રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
અંબાજીમાં સવારથી જ પરિક્રમા પથ ઉપર તથા અંબાજી ગબ્બર જવાના માર્ગ ઉપર વાહનોની પણ ભારે ભીડ જોવા મળી હતી. પોલીસ તંત્રની પણ સારી કામગીરી હતી છતાં પણ ભારે ઘસારાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવવા પામી હતી. જો કોઈ થોડાક જ કલાકોમાં સમસ્યાને નિયમિત બનાવી દેવામાં આવી હતી.
