નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. મંત્રીએ બેઠકમાં BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા મતદાર યાદી સુધારણાની ધીમી ગતિએ ચાલતી કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “BLO ની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે.” તેમણે ઉમેર્યું હતું કે, ૭ ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની હોવાથી તમામ BLO ને ઝડપી કામગીરી પૂર્ણ કરવા અને તેમાં સહકાર આપવા અપીલ કરી હતી.
આ બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ BLO ની કામગીરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે સવાલો ઉઠાવ્યાં હતા અને BLO ને વધુ પડતું પ્રેશર ન આપવાની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત, વસાવાએ જંગલના રસ્તાઓ, મનરેગાની કામગીરી શરૂ કરવા અને બસો માટે બંધ થયેલા રસ્તાઓ ફરી શરૂ કરવાની પણ માગણી કરી હતી.
મંત્રીએ રસ્તાઓના પ્રશ્ન પર સ્પષ્ટતા કરી હતી કે વરસાદના કારણે ડેમેજ થયેલા રસ્તાઓનું રિપેરિંગ વહેલી તકે ચાલી રહ્યું છે. બેઠકમાં જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
