અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે કુલ સાત જુદા જુદા સ્થળોએ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વખત AC ડોમમાં ગરબા રમવાનો અનોખો અનુભવ મળશે.

ખોડલધામ પરિવાર ‘આપણી દીકરી આપણા આંગણે’ સૂત્ર હેઠળ ગરબાનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાંથી એકત્ર થયેલ ભંડોળ કેન્સર હોસ્પિટલને દાનમાં આપવામાં આવશે. આ ઉપરાંત, નવદુર્ગા મિત્ર મંડળ અને માનવ મંડળ દ્વારા પણ વિવિધ કલાકારો સાથે ગરબાનું આયોજન કરાયું છે.
અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. આ વર્ષનું મુખ્ય આકર્ષણ સરદાર ભવન ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત AC ડોમમાં ગરબા છે, જેનાથી ખેલૈયાઓ વરસાદની ચિંતા વગર ગરબે ઘૂમી શકશે.
ગાર્ડન સિટી ખાતે પણ આઈ આરાધના ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ તમામ ગરબા પ્રેમીઓને આ મહોત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

