આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજલાઇન નાખવાના કામમાં મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીએ કોઈપણ મંજૂરી લીધા વિના ખેતરોમાં આડેધડ ખોદકામ કરતાં મગ, તુવેર અને કપાસ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે.

તાજેતરમાં વરસેલા વરસાદ અને કંપનીની બેદરકારીને કારણે પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોએ જ્યારે વાંધો ઉઠાવ્યો, ત્યારે કંપનીના મેનેજર તરફથી ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.
ખેડૂતોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ખેડૂતોની મુખ્ય માગણી છે કે તાત્કાલિક સર્વે કરી પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
