મેંદરડા તાલુકાના ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતા અજાબના યુવાનનું મોત થયું હતું.આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગે મેંદરડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના અજાબમાં રહેતો શૈલેષ મનસુખભાઈ અઘેરા (ઉ.વ.૩૩) ગઈકાલે સાંજે ઘરે મારે જમવું નથી,હું થોડીવારમાં આવીશ એમ કહી બાઈક લઈ ઘરેથી નીકળ્યો હતો.દોઢેક કલાક સુધી પરત ન આવતા શૈલેષના માતાએ તેના પિતરાઈ ભાઈ મુકેશભાઈને વાત કરી હતી.ફોન કરતા ફોન રિસીવ થતો ન હતો.મુકેશભાઈ અને તેના મિત્રોએ વાડીએ અને ગામમાં તપાસ કરવા છતાં શૈલેષનો ક્યાંય પતો લાગ્યો ન હતો.મેંદરડા રોડ પર ખીજડીયા ધાર નજીક બાઈક રોડ નીચે મળી આવતા ત્યાં તપાસ કરતા શૈલેષ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે જાણ થતાં અજાબના સરપંચ મગનભાઈ અઘેરા સહિતના ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા.ઇજાગ્રસ્ત શૈલેષને ૧૦૮માં મેંદરડા ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ યુવાન અજાબથી મેંદરડા જમવા જતો હતો ત્યારે આ અકસ્માત થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આ અંગે ફરિયાદ થતા મેંદરડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

