સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની અને ૧૩૭ વિધાનસભાની ભવ્ય પદયાત્રા ઝંડાચોક થી કાલીનીકેતન કંપાઉન્ડ ઘેલવાંટ સુધી યોજાઈ હતી. પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. મહાનુભાવોને હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવેલ પદયાત્રા રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત થવાનો અવસર છે. ખેડૂતોનું શોષણ ન થાય તે પ્રકારે દેશના ખેડૂતો માટે સરદાર પટેલે અનેક લડતો અને સત્યાગ્રહો કર્યા હતા. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એક જુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી દેશના ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’થી સાકાર કર્યો છે.
આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના શ્રી કૌશલભાઈ દવેએ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કામોનું વર્ણન કર્યું હતું. સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંગેના શપથ લીધા હતા.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

