‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ હોલ, દાહોદ ખાતે આયોજન પંચ ચેરમેનશ્રી યમનભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અન્વયે ૭૨ જેટલા યુવાઓને GSRTC દ્વારા એપ્રેન્ટીસ ભરતી માટેના નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – ૨૪ વર્ષ જન-વિશ્વાસ, સેવા અને સમર્પણ અન્વયે યોજાયેલ વિકાસ સપ્તાહ પ્રસંગે ચેરમેનશ્રી યમનભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસની દિશામાં ઝડપી પરિણામો મેળવવા માટે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે એ માટે માત્ર ખેતી પર નિર્ભર ન રહેતા ઔદ્યોગિક વિકાસ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેથી સૌ યુવાઓએ પોતાનામાં રેહલી ટેક્નીકલ સ્કીલને વિકસાવવાની જરૂર છે. સરકારના સતત પ્રયત્નો થકી સકારાત્મક પરિવર્તન આવ્યું છે. એમ કહેતા એમણે રોજગારી મેળવનાર યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, યુવાનોએ રોજગારી મળે એ માટે તેમજ તેમનામાં રહેલા ગુણો-કલાને વિકસાવવામાં રોજગાર વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યો છે. આજના યુવાઓએ ઉત્કૃષ્ટતા સાથે પોતાની કામગીરી કરવાની છે. પોતાના પગભર થઈને કંપની સામે ચાલીને આપણી પાસે આવે એવી સ્કીલ ડેવલપ કરવાની છે. યુવાઓએ સપના મોટા જોવા જોઈએ એમ કહેતા એમણે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી વિશે પણ માહિતી આપી હતી.
દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે, સરકારના સતત પ્રયત્નો થકી દાહોદમાં પણ વિકાસ થઇ રહ્યો છે. પૂર્ણ વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવી વોકલ ફોર લોકલ મંત્રને સાર્થક કરવાનો છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રોજગાર પત્ર તથા આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત’ અને ‘ઉદ્યોગો સાથે આઈટીઆઈના અપગ્રેડેશન માટે MOU’ કરવામાં આવ્યા હતા. આ કાર્યકમ દરમ્યાન ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, દાહોદ આઈટીઆઈના પ્રિન્સીપાલશ્રીઓ, લાભાર્થીઓ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

