અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર આપીને ઔદ્યોગિક પ્રદૂષણ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે અંકલેશ્વર વિસ્તારમાં હવા અને જળ પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

AAP એ રજૂઆત કરી હતી કે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોને કારણે હવા અને પાણીના પ્રદૂષણની સમસ્યાઓ વધી રહી છે. આ વધતા પ્રદૂષણના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટીએ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવાની અને જો કાર્યવાહી નહીં થાય તો GPCB ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ અંગે અંકલેશ્વર GPCB ના રિજનલ ઓફિસર જિજ્ઞાશા ઓઝાએ જણાવ્યું હતું કે, પ્રદૂષણની આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરાશે.
