ભુજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તાત્કાલિક ત્રણેયને દિલ્હીથી ઝડપીને ભુજ ખાતે માવતરને સુપરત કરવામાં આવી હતી.

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી
મળતી માહિતી મુજબ, ભુજના ભાગોળે આવેલા વિસ્તારમાં આડોશ-પાડોશમાં રહેતી 16-17 વર્ષની ત્રણ સગીરા ગત રવિવારે ઘરેથી જતી રહેતા પરિવારમાં દોડધામ મચી હતી. જેને લઈને પરિવારે સગાસંબંધીમાં પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશોરીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય કિશોરી ટ્રેન મારફતે દિલ્હી પહોંચી હતી. 24 કલાકથી વધુ સમય સુધી પૈસાના અભાવે ભૂખી રહ્યા બાદ એક કિશોરીએ નજીકના દુકાનદારનો પેમેન્ટ માટેનો બારકોડ લઈને સગાસંબંધી પાસે પૈસા તેમાં જમા કરાવવાનું કહ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતાં દુકાનદારનો સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે રેલવે પોલીસનો સંપર્ક કરીને ત્રણેય સગીરાને મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. આમ અંતે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય કિશોરીને પરત લાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગરીબીથી કંટાળીને વધુ પૈસા કમાવવા માટે ત્રણેય સગીરાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું.
