સુરત પાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહીં મળતા વધુ 10 મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા 52 દિવસમાં સતત બીજીવાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે અંગેના અનેક સવાલો ઉભા થયા છે. ખજોદ કચરા કૌભાંડ અંગે તપાસ સમિતિ બની છે તેની તપાસ ધીમી પડી ગઈ છે પરંતુ આગ હજી પણ ધીમી પડતી નથી. સતત બીજા દિવસે પણ લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી ત્યારે આગના કારણો શોધવા માંગણી થઈ રહી છે.

વાપીના કોન્ટ્રાક્ટર સી.ડી ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતનો રોજના 2500 મેટ્રીક ટન કચરો ઉલેચી ખજોદમાં સાયન્ટીફીક રીતે નિકાલ કરવાના બદલે મહુવાના કાંકરીયામાં બારોબાર નિકાલ કરવામાં આવ્યો હતો તેમાં પોલીસ ફરિયાદ થતા મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડના કારણે સુરત પાલિકાની ઈમેજને ધક્કો પહોંચ્યો છે અને કચરા કૌભાંડની તપાસ કોઈક કારણોસર ઠંડી પડી છે. આજે સતત બીજા દિવસે આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેનો વિવાદ ઉભો થયો છે.
આ આગ અંગે મ્યુનિ. કમિશનરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આગ લાગવાના કારણો શોધવા પોલીસ ફરિયાદ કરવા, કચરો બળતા થતા હવા પ્રદૂષણ રોકવા, આગ ઓલવવા તથા ઘન કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવાની તપાસમાં ઢીલાશ દૂર કરવા, બેદરકાર કોન્ટ્રાકટરને દંડ કરી બ્લેક લિસ્ટ કરવા કાર્યવાહી કરવા, કચરના નિકલમાં આગ લગાડી ભ્રષ્ટાચાર આચરવાની ઘટનામાં તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.
આગ લાગવાના કારણે ભ્રષ્ટાચારના પુરાવા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ખજોદ ખાતે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેની તપાસની માગણી ભુતકાળમાં કરી હતી તેમાં કોઈ પગલાં ભરાયા ન હતા તેથી હવે ફરીથી સીસીટીવીના આધારે તપાસની માગણી કરવામાં આવી રહી છે.
આગના કારણે પ્રદૂષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ
સુરત પાલિકાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગના કારણે શહેરના પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ખજોદ સાઈટ પર સતત લાખો ટન બળતા કચરાને લીધે આજુબાજુમાં ભારે ધુમાડો આવી રહ્યો છે અને શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે એક્યુઆઈમાં પણ વધારો થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. આ સાથે પ્રદૂષણ પર કંટ્રોલ કરવા સાથે ખજોદ ડમ્પિંગ સાઈટ પર પણ જીપીસીબી પ્રદૂષણ માપવાના સાધનો મુકે તેવી માંગણી થઈ રહી છે.
આ કોન્ટ્રાક્ટરના બાકી બીલ છે તેને પાસ કરાવવા કેટલાક દલાલો પાલિકામાં પ્રયાસ કરી રહ્યાં છે જેના કારણે આ આગની તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવી માગણી થઈ રહી છે.

