ગરમી અને ભેજવાળા વાતાવરણમાં શરીરને ઠંડક આપવા માટે લોકો અવારનવાર રેફ્રિજરેટરના પાણીનો સહારો લે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે ફ્રીજનું અતિશય ઠંડું પાણી પીવાથી ગળામાં બળતરા, પાચનક્રિયામાં અવરોધ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, માટીના માટલા અથવા ઘડાનું પાણી એક સલામત અને અત્યંત ફાયદાકારક વિકલ્પ તરીકે ઉભરી આવે છે.

આર્યુવેદમાં માટલાનું પાણી છે અમૃત સમાન
માટીના વાસણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાણીને કુદરતી રીતે ઠંડું રાખે છે. માટીમાં રહેલા અસંખ્ય ઝીણા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે, જે પાણીના તાપમાનને કુદરતી રીતે ઘટાડે છે. આયુર્વેદમાં માટલાના પાણીને ‘અમૃત’ સમાન માનવામાં આવે છે, કારણ કે તે પાણીના કુદરતી ગુણોને જાળવી રાખે છે.
શરીરના pH સ્તરને સંતુલિત કરે છે માટલાનું પાણી
આધુનિક ડોક્ટરો પણ માટીના વાસણને ફ્રીજ કરતા શ્રેષ્ઠ માને છે. માટીના આલ્કલાઇન (Alkaline) ગુણધર્મો પાણીના એસિડિક તત્વો સાથે ભળીને શરીરના pH સ્તરને સંતુલિત કરે છે. આનાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. વળી, માટીનું વાસણ પાણીમાં રહેલી અશુદ્ધિઓને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, જે શરીરના ઝેરી તત્વો (Toxins) ને દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
ગળા અને પાચન માટે વરદાન રૂપ
ફ્રીજનું પાણી પીવાથી ગળામાં દુખાવો કે કાકડાની સમસ્યા થઈ શકે છે, જ્યારે માટલાનું પાણી ગળા માટે નરમ અને ગુણકારી છે. તે પાચનતંત્રને સક્રિય રાખે છે અને ચયાપચયની ક્રિયા (Metabolism) ને વેગ આપે છે. આયુષ મંત્રાલય પણ સ્વાસ્થ્ય જાળવવા માટે માટી કે તાંબાના વાસણના ઉપયોગની ભલામણ કરે છે.

