ઉનાળાની કાળઝાળ ગરમી માત્ર વાતાવરણમાં જ નહીં, પણ આપણા શરીરમાં અને ખાસ કરીને પેટમાં પણ બળતરા પેદા કરે છે. આ ઋતુમાં એસિડિટી, ગેસ, પેટ ફૂલવું (બ્લોટિંગ) અને અપચો જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. ખોટી ખાનપાનની આદતો અને ગરમીને કારણે પાચનતંત્ર નબળું પડે છે. આયુર્વેદમાં પેટની ગરમી શાંત કરવા માટે ‘સૌંફ’ એટલે કે વરિયાળીને સર્વોત્તમ માનવામાં આવે છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે, તેથી તેને પાચનનો ‘કિંગ’ કહેવામાં આવે છે.

વરિયાળીમાં રહેલા પોષક તત્વો
વરિયાળી માત્ર મુખવાસ નથી, પણ ઔષધીય ગુણોનો ખજાનો છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન-સી જેવા જરૂરી તત્વો મળી આવે છે. તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત કરે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ તે આશીર્વાદરૂપ છે, કારણ કે તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને ભૂખ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
પેટને ઠંડક કેવી રીતે આપે છે?નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉનાળામાં તળેલું અને મસાલેદાર ખાવાથી લિવર અને આંતરડા પર સોજો આવી શકે છે, જેને કારણે પેટમાં ભારેપણું લાગે છે. વરિયાળીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે આંતરડાના સોજાને ઘટાડે છે અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. તેની ઠંડી તાસીર જઠરાગ્નિને શાંત કરે છે, જેનાથી એસિડિટીમાં તુરંત ફાયદો થાય છે.
વરિયાળીનો ઉપયોગ કરવાની રીતો
આદુ અને વરિયાળીનું મિશ્રણ
આદુ પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વરિયાળી આંતરડાને સાફ રાખે છે. વરિયાળી અને સાકર (મિશ્રી)નો પાવડર બનાવીને રાખવો જોઈએ. રોજ સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા એક ચમચી પાવડર પાણી સાથે લેવાથી પાચનતંત્ર સુધરે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વિટામિન-સીનું પ્રમાણ વધે છે.
વરિયાળીનું પાણી
પેટની જૂની સમસ્યાઓ માટે વરિયાળીનું પાણી રામબાણ ઈલાજ છે. રાત્રે એક ચમચી વરિયાળી એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણી ગાળીને પી જવું. તેનાથી પેટના એન્ઝાઇમ્સ સક્રિય થાય છે અને આખો દિવસ પેટમાં ઠંડક રહે છે. પલાળેલી વરિયાળીને ચાવીને ખાઈ લેવાથી ફાઈબરનો પૂરો લાભ મળે છે.
ઉનાળા માટે વિશેષ ટિપ્સ
માત્ર વરિયાળી જ નહીં, પણ ઉનાળામાં એવા ફળો અને શાકભાજી લેવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. જેમ કે:
* તરબૂચ અને ટેટી
* કાકડી
* સત્તુનું શરબત
* વધારે માત્રામાં પાણી

