જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. ચતરુ જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લોમાં સુરક્ષા દળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જિલ્લાના દૂરવર્તી અને કઠિન ભૂગોળ ધરાવતા ચતરુ જંગલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે એન્કાઉન્ટર થયું. આ કાર્યવાહીમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા CRPFની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતાં એન્કાઉન્ટર ભડકી ઊઠ્યું. લાંબા સમય સુધી ચાલેલા ગોળીબારમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને કોઈ અન્ય આતંકવાદી છુપાયેલો તો નથી ને, તે માટે સઘન સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં વધુ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચતરુ જંગલ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ગતિવિધિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ગયા મહિને પણ આ જ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અનેક વખત ગોળીબાર થયો હતો. તે સમયે એક બહાદુર સૈનિક શહીદ થયો હતો, જ્યારે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ ઘટનાઓ બાદથી સુરક્ષા દળોએ વિસ્તારમાં પોતાની ચોકસાઈ અને પેટ્રોલિંગ વધારી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ સંયુક્ત કાર્યવાહી આતંકવાદની કમર તોડવા માટે મહત્વપૂર્ણ છે. સૈનિકો અને સુરક્ષા કર્મીઓએ વિસ્તારને કાબૂમાં રાખ્યો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ એન્કાઉન્ટરથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા દળો આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહ્યા છે અને કિશ્તવાડ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ આતંકવાદીઓને કોઈ પણ રીતે છૂટ આપવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં પણ આવા ઓપરેશનો ચાલુ રહેવાની શક્યતા છે.
