જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના નવ ગુનામાં અત્યારસુધીમાં ૧૭ શખ્સની ધરપકડ થઈ છે. કેરાળામાં ગૌશાળાનું સંચાલન કરતા સાધુએ પૈસાની લાલચમાં બેંક ખાતા ભાડે આપી અન્ય યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા. જેનું ખાતાધારકને પ થી ૨૫ હજાર ભાડું ચૂકવવામાં આવતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મ્યુલ એકાઉન્ટ મામલે કેરાળાના કલ્યાણગિરી નામના સાધુ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ કેસમાં પોલીસે કલ્યાણગિરીની ધરપકડ કરી છે. કલ્યાણગિરીએ પૈસાની લાલચમાં સાયબર ગઠિયાઓના સાગરીતો સાથેની સાંઠગાંઠ કેળવી પોતાનું અને ગૌ સેવા ટ્રસ્ટનું ખાતું ભાડે આપ્યું હતું અને પોતાના સંપર્કમાં રહેલા યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા. જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે કલ્યાણગિરીના ખાતા તેમજ ગૌ સેવા ટ્રસ્ટના ખાતામાં કુલ ૪૦.૭૬ લાખ આવ્યા હતા. જે વિડ્રો કરી લેવામાં આવ્યા હતા. કલ્યાણગિરી કોના સંપર્કથી સાયબર ફ્રોડની રકમ માટેના નાણા જમા કરવા ખાતા આપતો હતો એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હજુ આ મામલે અન્ય ટ્રસ્ટના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્રોડના નાણાની રકમ જમા કરવા માટે ખાતેદારને ૫ હજારથી લઈ ૨૫ હજાર ભાડું આપવામાં આવતું હતું.એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે ગુના દાખલ થઈ રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કરનારાઓ પોલીસના હાથમાં આવશે કે કેમ ? એ મોટો સવાલ છે. અત્રે નોંધનીય છે કે પોલીસે પૂછપરછ કરી ત્યારે કલ્યાણગિરીએ ભગવા વ ધારણ કર્યા હતા જ્યારે આજે તેની ધરપકડ કરવામાં આવી ત્યાર શ્વેત વ પહેરી લીધા હતા આ બાબતથી આશ્ચર્ય ફેલાયું છે.

