જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના ઐતિહાસિક અને પ્રવાસન માટે મહત્વના એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. આગામી 28 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સરોવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આશરે 68 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓ માટે વોકિંગ ટ્રેક, લાઈટિંગ, અને બેઠક વ્યવસ્થા સહિતની અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી મહેનત બાદ હવે આ સરોવર નવા રંગરૂપમાં જનતા માટે ખુલ્લું મુકાશે.

લોકાર્પણ પૂર્વે જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સરોવરની મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેથી ઉદ્ઘાટન સમયે કોઈ કચાશ ન રહે. આ સરોવર ખુલવાથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગિરનારની મુલાકાતે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે પણ એક આકર્ષક સ્થળ બની રહેશે. લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓને લઈને મનપા તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
