પાટીદાર યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એસપીજીના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરે છે. જો અમને કંઈ પણ થશે તો તેના જવાબદાર એસપીજી ગ્રુપ અને પોલીસ રહેશે.
ખેડાના લસુન્દ્રામાં ભાગેડુ લગ્ન મુદ્દે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ કેસમાં પોલીસમાં નોકરી કરતાં ત્રણ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કેસમાં મોટો વળાંક આવ્યો છે. પાટીદાર યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એસપીજીના આગેવાનો રબારી સમાજને પ્રેશર કરે છે.

ખેડાના લસુન્દ્રામાં પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીની માતાએ તેને પાછી લાવવા માટે રબારી સમાજને વિનંતી કરી હતી. ત્યાર બાદ પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા હતાં અને તેને પરત લાવવા માટે રબારી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. પરંતુ ગઈકાલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આ યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેનું અપહરણ કરીને રૂપિયા અને દાગીના પડાવવાની વાત કરી હતી. હવે આ ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. આ યુવતીએ એક વીડિયો વાયરલ કરીને કહ્યું છે કે, તેણે પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે અને એસપીજી રબારી સમાજને પ્રેશર કરે છે.
આ યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, મેં રાજીખુશીથી આ લગ્ન કર્યાં છે. હું મારા પતિ સાથે ખુશ છું મને કોઈ તકલીફ નથી. મારા ઘરેથી હું કોઈ દાગીના લઈને ગઈ નથી. મને અને મારા પતિને પોલીસ અને એસપીજી ગ્રુપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. મારા સાસુ અને તેમના પરિવારને પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. જો વધુ પ્રેશર કરવામાં આવશે તો અમે આત્મહત્યા કરી લઈશું. હું જવાબ લખાવવા માટે પોલીસ સ્ટેશન હાજર થઈશ ત્યારે અમારી પર હુમલો થવાની શક્યતાઓ છે. જેથી પોલીસે અમને અને મારા સાસરિયાઓને રક્ષણ આપવું પડશે. જો અમને કંઈ પણ થશે તો તેના જવાબદાર એસપીજી ગ્રુપ અને પોલીસ રહેશે.
