મહીસાગર, ૧૮ ડિસેમ્બર:: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે લુણાવાડાના આઝાદ મેદાન ખાતે ‘સશક્ત નારી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ રિબિન કાપીને આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘મિશન મંગલમ’ યોજના અંતર્ગત કુલ ₹૧૭,૫૦,૦૦૦ની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મિશન મંગલમ યોજના હેઠળ કાર્યરત થનાર બેન્ક સખીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને અન્ય વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.

સશક્ત નારી મેળામાં મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે કુલ ૬૪ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ આ તમામ સ્ટોલ્સની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને પ્રદર્શિત કરાયેલી કૃતિઓ તથા ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ મેળામાં ઉપસ્થિત બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રવૃત્તિઓ અને આજીવિકા અંગે વિગતો મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અગ્રણી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર,તાલુકા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ, અધિકારીઓઅને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

