મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિશ્રામગૃહ ખાતે જિલ્લા ભાજપ દ્વારા પ્રભારી મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર દ્વારા નવી અમલી બનેલી “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી (ગ્રામીણ) VB-G RAM Gની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.

શ્રમિકો માટે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી યોજનાની વિશેષતાઓ જણાવતા પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, આ નવી યોજનાથી ગ્રામીણ રોજગારીના ક્ષેત્રમાં નવો પ્રાણ ફૂંકાશે. અત્યાર સુધી શ્રમિકોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી મળતી હતી, જે હવે વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવી છે. આ ફેરફારથી ગ્રામીણ પરિવારોના આર્થિક સ્તરમાં નોંધપાત્ર સુધારો આવશે અને ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ ક્ષેત્રોમાં નવી ઉર્જાનો સંચાર થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે યોજના અંગે ભ્રામક પ્રચાર કરનાર વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રેસને હંમેશા ‘રામ’ના નામ સામે વાંધો રહ્યો છે. જ્યાં પણ રામનું નામ જોડાય છે, ત્યાં કોંગ્રેસ વિરોધ કરવા મેદાને આવે છે.” સાંસદે VB-GRAM-G યોજનાના ફાયદાઓ ગણાવતા ૧૨૫ દિવસની રોજગાર ગેરંટી, બેરોજગારી ભથ્થા માટે યોગ્ય જોગવાઈ, સમયસર વેતનની ચુકવણી અને વિલંબ બદલ વળતરની વ્યવસ્થા, ગ્રામસભા દ્વારા ‘વિકસિત ગ્રામ પંચાયત યોજના’નું નિર્માણ, તમામ સરકારી યોજનાઓનું સંકલન અને ટેક્નોલોજી દ્વારા સશક્તિકરણ સહિતની યોજનાની મુખ્ય બાબતો પર ભાર મૂક્યો હતો.
આ યોજનાને વિકસિત ભારતના નિર્માણનો પાયાનો પથ્થર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વને બિરદાવતા કહ્યું હતું કે, ગ્રામોત્થાનની આ યોજના વિકસિત ભારતના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે. સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન વતી તેમણે પ્રધાનમંત્રીને આ યોજના માટે અભિનંદન પાઠવતા આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, સહિત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી સહિત. અન્ય મહાનુભાવો, પક્ષના પદાધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

