મહેસાણા શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા પનીરની ગુણવત્તા સામે સવાલ ઉઠતા ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને પકડવા માટે તંત્રએ હાઇવે અને નાગલપુર જેવા વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે.

કઈ હોટલોમાં તપાસ થઈ?
ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ, હાઇવે અને નાગલપુર વિસ્તારની નામાંકિત હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હોટલોમાંથી પનીરના જથ્થાની તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ હોટલોમાં નીલકંઠ રેસ્ટોરન્ટમાંથી ‘મીલ્કેનો મલાઈ પનીર’ના નમૂના લેવાયા છે અને કેઝી ફૂડ્સ અને કાકે દી હટ્ટી તથા ગોપી મલાઈ પનીર’ની ગુણવત્તા તપાસવામાં આવી અને કાલીકા ફૂડ મીલ્કુ મલાઈ પનીર’ના સેમ્પલ મેળવાયા. શ્રી ખોડિયાર કાઠીયાવાડી ઢાબા, જાણીતી બ્રાન્ડ ‘અમુલ મલાઈ પનીર’ના સેમ્પલ લેવાયા છે. હોટલ ખોડલ અને ‘મારુતિ લો ફેટ પનીર’ની તપાસ હાથ ધરાઈ.
કડક કાર્યવાહીની તૈયારી
તંત્ર દ્વારા આ તમામ સેમ્પલોને સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઓફિસરના જણાવ્યા અનુસાર, લેબ રિપોર્ટ આવ્યા બાદ જો પનીરમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હલકી ગુણવત્તા માલૂમ પડશે, તો સંબંધિત રેસ્ટોરન્ટ અને સપ્લાયર વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડાને પગલે અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
