મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક આવેલી ફેબહિંદ કંપનીમાં ગંભીર દુર્ઘટના બની છે. જેમાં વીજકરંટ લાગવાથી બે શ્રમિકોના કરુણ મોત થયા છે અને અન્ય છ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ક્રેન બંધ પડી જતાં શ્રમિકો તેને ધક્કો મારી રહ્યા હતા. કંપનીમાં એક ક્રેન અચાનક બંધ થઈ ગઈ હતી. તેને ફરી ચાલુ કરવા માટે કેટલાક શ્રમિકો તેને ધક્કો મારી રહ્યા હતા.ક્રેન બંધ પડી જતા તેને ધક્કો મારતી વખતે સર્જાઈ દુર્ઘટના

આ દરમિયાન ક્રેનનો ભાગ ઉપરથી પસાર થઈ રહેલી હાઈ ટેન્શન વીજ લાઈનને અડી ગયો. જેના કારણે ક્રેન અને તેને ધક્કો મારતા શ્રમિકોમાં જોરદાર વીજપ્રવાહ પસાર થયો. આ દુર્ઘટનામાં બિહારના રહેવાસી બે યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજન કુમાર ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ કંપનીમાં શ્રમિકોની સુરક્ષા અને સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. નોંધનીય છે કે મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં શ્રમિકોના મોતની આ બીજી ઘટના છે. જે સ્થાનિક વહીવટીતંત્ર અને કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

