પશ્વિમ બંગાળમાં જુદી જુદી થીમના દુર્ગા પૂજા પંડાલ ધ્યાન ખેંચી રહ્યા છે. એમાં એક પંડાલની થીમના કારણે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં પણ એ થીમની ભારે ટીકા થઈ છે. કોલકાત્તામાં એક દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદની વિમાન દુર્ઘટનાની થીમ રાખવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ થીમ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને તેને પીડિત પરિવારોનું અપમાન ગણાવ્યું હતું.

આ પંડાલના સોશિયલ મીડિયામાં મૂકાયેલા વીડિયો અને ફોટો બાદ વિવાદ થયો હતો. દુર્ગા પૂજા પંડાલના વીડિયો પરથી જણાય છે કે થીમ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના પર છે. વિમાનનો કાટમાળ બિલ્ડિંગમાં તૂટી પડયો એ ઘટનાને પંડાલની થીમમાં વણી લેવાઈ છે. લોકોએ આ વીડિયો જોઈને લખ્યું કે કળાની અભિવ્યક્તિ અને સંવેદનશીલ બાબતોનો ભેદ સમજવો જરૂરી છે. તેનાથી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાને બદલે અપમાન થયું છે. વિમાનની દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભરાય એવો ઘાવ આપ્યો છે. એની થીમ બનાવવી તેમાં કળાની અભિવ્યક્તિ નથી. આમાં તો અસંવેદનશીલતા દેખાય છે.વિવાદ વધતા આયોજકોએ સ્પષ્ટતા કરી હતી કે તૂટેલું એરક્રાફ્ટ અને કાટમાળની થીમ મૃતકોને અંજલિ આપવા માટે બનાવવામાં આવી છે. વળી, જેમણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું એ જવાનોને પણ આમાં ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ છે. જોકે, લોકોએ આ દલીલને માન્ય રાખી ન હતી અને આવી હરકતને શરમજનક ગણાવી હતી.

