નર્મદા જિલ્લાનો સૌથી મોટો આદિવાસીઓનો દેવમોગરા ખાતે પાંડોરીમાતાના મંદિરે શિવરાત્રીથી પાંચ દિવસનો ભવ્ય મેળાનો પ્રારંભ થશે.આદિવાસીઓની કુળદેવી ગણાતી અને આદિવાસીઓમાટે આસ્થાનું કેન્દ્ર દેવમોગરાનો મેળો ગણાય છે.

આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર એટલે સાગબારા તાલુકા નજીક આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર. અનાદિકાળથી દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિર ખાતે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે, જે પાંચ દિવસ સુધી ચાલે છે. પાંડોરી માતાના મંદિરના સાનિધ્યમાં યોજાતો દેવમોગરા માતાજીનો મેળો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.

દેવમોગરા ખાતે યોજાતા આ લોકમેળામાં આદિવાસીઓના સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. અહીં મહાશિવરાત્રીએ શિવની નહિં પરંતુ શક્તિની પૂજા થાય છે. મેળા ખાતે રાજવી પરિવારના વંશજ દ્વારા સૌ પ્રથમ પૂજા કરવાની પરંપરા અત્યાર સુધી જળવાયેલી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા પાંડોરીના દર્શનાર્થે આવે છે.
નર્મદા જિલ્લાના સાતપૂડાની ગીરીમાળામાં આવેલ આદિવાસી લોકસંસ્કૃતિના ભવ્ય દર્શન કરાવતો સૌથી મોટા લોકમેળામાં દર્શનાર્થીઓ પગપાળા, બળદગાળા સહિત અન્ય માધ્યમો દ્વારા અહીં પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે.

આ મેળામાં લાખોની સંખ્યામાં આવેલ શ્રદ્ધાળુઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો થકી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરે છે. દર્શનાર્થએ આવનાર શ્રદ્ધાળુઓ ખેતીનો પહેલો પાક માતાજીને અર્પણ કરે છે.શક્તિની આરાધના સમાપાંડોરી માતાને નૈવેધમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલા પાક/ધાન્ય સહીત માનેલી માનતા આધારે ચીજ-વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજાઅર્ચના કરે છે. પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે જે બારેમાસ ખૂટશે નહિં એવી લોકવાયકાઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવમોગરા ખાતે નૈવેધ તરીકે પહેલી ધારનો દેશી દારૂ ચઢાવવાની અનોખી પરંપરા જોવા મળે છે.
આદિવાસી સમાજની અન્નપૂર્ણા સમા કુળદેવી પાંડોરી માતા, કોની યાહા તથા યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. ભારતીય પૌરાણિક સંસ્કૃતિ જળવાય અને તેનું સંવર્ધન થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ વડા પ્રધાનનરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃ્ત્વ હેઠળ રાજ્ય સરકાર દેવમોગરાનાને યાત્રાધામ તરીકે વિકસાવવાનું આયોજનછે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

