ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. યાત્રામાં સામેલ થનારા તમામ શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે, જેથી વહીવટીતંત્ર યાત્રીઓની સંખ્યા, સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનને વધુ સારી રીતે સંભાળી શકે.

આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલથી થઈ રહી છે. પરંપરા અનુસાર આ જ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ ધામ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.
હાલમાં સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, જ્યારે ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. યાત્રા શરૂ થતા પહેલા હરિદ્વાર, ઋષિકેશ સહિત અનેક મુખ્ય સ્થળોએ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કાઉન્ટર લગાવવામાં આવશે, જેથી જે શ્રદ્ધાળુઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ પણ સરળતાથી નોંધણી કરાવી શકે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન
વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન: શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ સરકારની વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે પહેલા વેબસાઇટ પર એકાઉન્ટ બનાવવું પડે છે. ત્યારબાદ યાત્રાની તારીખ, ધામ અને યાત્રીઓની માહિતી ભરવાની હોય છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી રજીસ્ટ્રેશન સ્લિપ ડાઉનલોડ કરી શકાય છે.
મોબાઇલ એપ પરથી રજીસ્ટ્રેશન: યાત્રીઓ Tourist Care Uttarakhand મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એપમાં એકાઉન્ટ બનાવ્યા પછી યાત્રા સંબંધિત માહિતી ભરવાની હોય છે અને ત્યાંથી યાત્રા પાસ ડાઉનલોડ કરી શકાય છે.
વોટ્સએપથી રજીસ્ટ્રેશન: સરકારે વોટ્સએપ દ્વારા પણ રજીસ્ટ્રેશનની સુવિધા આપી છે. આ માટે 8394833833 નંબર પર “Yatra” લખીને મેસેજ મોકલવાનો હોય છે. આ પછી ચેટબોટ યાત્રીઓ પાસેથી જરૂરી માહિતી પૂછે છે અને તેના આધારે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જાય છે.

યાત્રીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન અને યાત્રા સંબંધિત માહિતી આપવા માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જો કોઈ યાત્રીને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી આવે છે અથવા યાત્રા સંબંધિત માહિતી જોઈતી હોય, તો તે 0135-1364 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે.
આ નંબર પર યાત્રીઓને રજીસ્ટ્રેશન પ્રક્રિયા, યાત્રા માર્ગ, વ્યવસ્થા અને અન્ય જરૂરી માહિતી વિશે સહાયતા આપવામાં આવશે.
ભાઈબીજ પર બંધ થયા હતા ધામના કપાટ
આ પહેલા 23 ઓક્ટોબર 2025 ના રોજ ભાઈબીજના અવસરે કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. કપાટ બંધ થયા પછી બાબાની ડોલી પદયાત્રા માર્ગેથી રવાના થઈને લગભગ 55 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરીને 25 ઓક્ટોબરના રોજ ઉખીમઠ પહોંચી હતી, જ્યાં ઓમકારેશ્વર મંદિરમાં શિયાળુ નિવાસ શરૂ થયો.
મંદિર સમિતિ અનુસાર 2025 ની યાત્રા દરમિયાન 17,68,795 શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા. 2013 ની આપત્તિ પછી આ બીજો અવસર હતો જ્યારે આટલી મોટી સંખ્યામાં ભક્તો ધામ પહોંચ્યા.
23 એપ્રિલના રોજ ખુલશે બદ્રીનાથ ધામના કપાટ
બદ્રીનાથ ધામના કપાટ 2026 માં 23 એપ્રિલના રોજ સવારે 6:15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. વસંત પંચમીના અવસરે નરેન્દ્રનગર રાજદરબારમાં પંચાંગ ગણતરી બાદ આ તિથિ નક્કી કરવામાં આવી હતી. ચમોલીમાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ આ વખતે ગયા વર્ષની સરખામણીમાં 11 દિવસ વહેલા ખુલશે.
જ્યારે ઉત્તરકાશીના ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર વિધિ-વિધાન પૂર્વક ભક્તો માટે ખોલવામાં આવશે.
2025માં ક્યારે બંધ થયા હતા બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ
2025માં ઉત્તરકાશીમાં આવેલા ગંગોત્રી ધામના કપાટ 22 ઓક્ટોબરે વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવ્યા. તેના બીજા જ દિવસે, 23 ઓક્ટોબરે, યમુનોત્રી ધામના કપાટ વિધિ-વિધાનથી બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ યાત્રીઓ માટે આ બંને ધામોમાં નિયમિત દર્શન બંધ થઈ ગયા અને શિયાળુ પૂજાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી.
જ્યારે ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ 25 નવેમ્બરે બપોરે 2 વાગીને 56 મિનિટે શિયાળા માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલમાં બદ્રીનાથની શિયાળુ પૂજા જોશીમઠના નરસિંહ મંદિરમાં ચાલી રહી છે.
બદ્રીનાથ ધામમાં એપ્રિલ 2026 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય
બદ્રીનાથ ધામમાં પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ માસ્ટર પ્લાન પૂરો થયા પછી ધામ સ્વચ્છ અને પરિસર મોટું દેખાઈ રહ્યું છે. ડ્રીમ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બદ્રીનાથને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે.લગભગ 424 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટને એપ્રિલ 2026 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી આગામી ચારધામ યાત્રા પહેલા શ્રદ્ધાળુઓને વધુ સારી વ્યવસ્થા મળી શકે. આ માસ્ટર પ્લાન 85 એકર વિસ્તારમાં ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યો છે.
ફેઝ-1 માં શેષનેત્ર અને બદ્રીશ તળાવનું સૌંદર્યકરણ, અલકનંદા રિવર ફ્રન્ટ અને વન-વે લૂપ રોડનું કામ અંતિમ તબક્કામાં છે. ફેઝ-2 માં મંદિર પરિસરનું વિસ્તરણ અને હોસ્પિટલનું નિર્માણ શામેલ છે.

