NATIONAL : કારગિલનો એ સિંહ જેણે લગ્નની ચોરી છોડી રણમેદાન પસંદ કર્યું: જાણો 22 વર્ષના વીર શહીદ કેપ્ટન અનુજ નૈયરની શૌર્યગાથા

0
24
meetarticle

ભારતમાતાના અનેક સપૂતોએ પોતાની જવાની દેશના નામે કુરબાન કરી દીધી છે, પણ દિલ્હીના રહેવાસી કેપ્ટન અનુજ નૈયરની વાર્તા આજે પણ દેશના યુવાનોના રુંવાડા ઉભા કરી દે છે. 17 જાટ રેજિમેન્ટના આ જાંબાઝ અધિકારીએ માત્ર 22 વર્ષની ઉંમરે કારગિલ યુદ્ધમાં જે બહાદુરી બતાવી, તે ભારતીય સૈન્યના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.

જ્યારે ‘પિમ્પલ-2’ પર મોત તાંડવ કરતું હતું
કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન અનુજ નૈયરને અતિ મહત્વના એવા પોઈન્ટ 4875 (જે પિમ્પલ-2 તરીકે ઓળખાય છે) પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 6 જુલાઈ 1999ના રોજ, કોઈપણ હવાઈ મદદ વગર કેપ્ટન અનુજ અને તેમની ચાર્લી કંપની 16 હજાર ફૂટની સીધી ચઢાણ ચઢીને દુશ્મનના ગઢમાં ત્રાટક્યા હતા.

એકલા હાથે 9 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
દુશ્મનોએ પહાડ પર મજબૂત બંકરો બનાવ્યા હતા અને ઉપરથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન અનુજે અપ્રતિમ સાહસ બતાવીને એકલા હાથે પાકિસ્તાની સેનાના 9 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા અને ત્રણ મશીનગન બંકરોને તોડી પાડ્યા હતા. ચોથા બંકરને નષ્ટ કરતી વખતે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા, છતાં એક ડગલું પાછળ ન હઠ્યા.


લગ્નના મુગટને બદલે શહાદતનો કફન પસંદ કર્યો
કેપ્ટન અનુજ નૈયરની આ વીરતા પાછળ એક ભાવુક પાસું એ પણ છે કે તેમના લગ્ન નક્કી થઈ ગયા હતા. થોડા જ દિવસોમાં તેમના માથે લગ્નનો મુગટ શોભવાનો હતો, પરંતુ આ વીરે દેશપ્રેમને સર્વોપરી ગણ્યો. 7 જુલાઈના રોજ દુશ્મનનો એક RPG (રોકેટ ગ્રેનેડ) સીધો તેમની પાસે આવીને પડ્યો અને ભારતમાતાનો આ વીર સપૂત હંમેશા માટે અમર થઈ ગયો.


મરણોપરાંત ‘મહાવીર ચક્ર’
કેપ્ટન અનુજ નૈયર અને તેમના સાથીઓની બહાદુરીને કારણે જ પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું અને ભારત તે શિખર પર વિજય મેળવી શક્યું. તેમની આ સર્વોચ્ચ બહાદુરી બદલ ભારત સરકાર દ્વારા તેમને મરણોપરાંત ‘મહાવીર ચક્ર’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આજે પણ જ્યારે કારગિલ વિજયની વાત નીકળે છે, ત્યારે 22 વર્ષના એ યુવાનનો ચહેરો નજર સામે આવે છે, જેણે દેશ માટે હસતા મુખે મોતને વહાલું કર્યું હતું.


સલામ એ શહીદને – પાક્કો ગુજરાત ન્યૂઝ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here