જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ પર ટકેલું છે, ત્યારે ચીને આ તકનો લાભ ઉઠાવી ભારતની સરહદ નજીક એક મોટી ચાલબાજી કરી છે. ચીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા પોતાના શિનજિયાંગ પ્રાંતમાં એક નવી કાઉન્ટી (વહીવટી એકમ) સ્થાપવાની જાહેરાત કરી છે. ભારત અગાઉ પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક વાંધો નોંધાવી ચૂક્યું છે.

શું છે ચીનનો નવો પ્લાન?
ચીનના શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત પ્રદેશની સરકારે 26 માર્ચના રોજ ‘સેનલિંગ’ (Senling) નામની નવી કાઉન્ટીની સ્થાપના કરી છે. આ નવો જિલ્લો કાશગર પ્રશાસન હેઠળ આવશે. મહત્વની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં ચીને આ વિસ્તારમાં બનાવેલો આ ત્રીજો નવો પ્રાંત છે. આ પહેલા ચીને ‘હેઆન’ અને ‘હેકાંગ’ નામની બે કાઉન્ટીની જાહેરાત કરી હતી.
ભારતનો વિરોધ અને વ્યૂહાત્મક મહત્ત્વ
ભારતે અગાઉ ચીનની આ હરકતો સામે વિરોધ નોંધાવતા સ્પષ્ટ કર્યું હતું કે આ જિલ્લાઓનો કેટલોક હિસ્સો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે. ખાસ કરીને ‘હેઆન’ કાઉન્ટીમાં વિવાદિત અક્સાઈ ચીનનો મોટો ભાગ સામેલ છે, જે ભારતનો અભિન્ન હિસ્સો છે.
વખાન કોરિડોર: સેનલિંગ જિલ્લો અફઘાનિસ્તાનના સાંકડા વખાન કોરિડોર સાથે જોડાયેલો છે, જે 74 કિમી લાંબી પટ્ટી છે.
આતંકવાદ વિરોધી બહાનું: ચીનનો દાવો છે કે ઉઇગર લડવૈયાઓની ઘૂસણખોરી રોકવા અને સરહદી સુરક્ષા વધારવા માટે આ વહીવટી ફેરફાર કરાયા છે.
નિષ્ણાતોનો મત
નિષ્ણાતો માને છે કે આ પગલું ચીનના સીમાવર્તી વિસ્તારો પર વધતા નિયંત્રણ અને ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ (CPEC) ની સુરક્ષા મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે. ભારત માટે આ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે ચીન સતત ભારતીય સરહદોની નજીક પોતાનું માળખું મજબૂત કરી રહ્યું છે.

