14 ફેબ્રુઆરી, 2026ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ દુખદ ઘટના વર્ષ 2019માં બની હતી, જ્યારે એક સુસાઇડ બોમ્બરે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર 2,500થી વધુ જવાનોને લઈ જતાં 78 વાહનોના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ડ્યૂટી પર
આજે લેટપોરા, પુલવામા સ્થિત CRPF કેમ્પમાં તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 14 ફેબ્રુઆરીનો દિવસ શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવા અને તેમના બલિદાનને સન્માન આપવા માટે ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આ દુખદ ઘટના પછી સુરક્ષાની વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ કોઓર્ડિનેશન વધારવામાં આવ્યું અને કાઉન્ટર-ટેરર સ્ટ્રેટેજી તેમજ વિસ્તારની સ્થિરતા અંગે દેશમાં નવી ચર્ચા શરૂ થઈ. હુમલા બાદ ભારતે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યા વધારી દીધી છે. હુમલાની સાતમી વરસી પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારથી શ્રીનગર અને અન્ય સ્થળોના વ્યસ્ત વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યુ છે.

આ ભયાનક આતંકી હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર CRPFના કાફલા પર એક સુસાઇડ બોમ્બરે કર્યો હતો. વિસ્ફોટકો ભરેલી અલ્ટ્રા-મોડિફાઇડ ગાડી CRPF જવાનોને લઈ જતી બસ સાથે અથડાઈ હતી. આ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા અને 35થી વધુ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હતી.
હુમલાખોર આદિલ અહમદ ડાર પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો, જેણે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને આક્રોશ ફેલાવ્યો હતો. પુલવામા હુમલાના વ્યાપક પ્રભાવને કારણે ભારતીય રાજકારણ, સૈન્ય નીતિ અને રાજનૈતિક સંબંધો પર ઊંડો પ્રભાવ પડ્યો. CRPF પર હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો. 26 ફેબ્રુઆરી 2019ના રોજ ઇન્ડિયન એર ફોર્સે બાલાકોટ નજીક એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદી તાલીમ કેમ્પ તરીકે ઓળખાતા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પુલવામા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા એજન્સીઓમાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા છે. હથિયારો અને ગોળા-બારૂદથી લઈને ગિયર અને બુલેટપ્રૂફ જૅકેટ સુધી તમામ હાઇ-ટેક અને આધુનિક સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાંઓથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દેશમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને આતંકી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે.
