મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી. જે બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. જોકે આ જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે 2 એવી જાહેરાત કરી છે જેને લઈને ભારતમાં ચિંતા વધી શકે છે. આ મામલે ભારત સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી.

ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. આ સિવાય તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેચાશે. ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.
ભારતમાં અમેરિકાની કૃષિ પ્રોડક્ટ્સ વેચાશે: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
ભારત અને રશિયા દાયકાઓથી મિત્ર રાષ્ટ્ર રહ્યા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાઓ પર રશિયા તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે પણ જોવાની રહેશે. આ સિવાય ટ્રેડ ડીલની વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે જ ભારત તરફથી તેવા સંકેતો મળી રહ્યા હતા કે ભારત સરકાર ડેરી અને કૃષિ આ બે સેક્ટર અમેરિકા માટે ખોલવા માંગતી નથી.
એવામાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતો પર અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. કારણ કે જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ્સની ભારતમાં એન્ટ્રી થઈ તો સ્થાનિકો પર સીધી અસર થશે.
હાલ તો ભારત સરકારના કોઈ પ્રતિનિધિ, અધિકારી કે વિદેશ મંત્રાલય દ્વારા આ દાવાઓ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

