લોકસભામાં ચીન સાથેના હુમલા લઈને રાહુલ ગાંધીએ શાસક પક્ષ એનડીએ પર આકરા પ્રહારો કર્યા હતા અને પીએમ તથા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સવાલ કર્યો હતો કે ચીને હુમલો કર્યો ત્યારે ૫૬ ઇંચની છાતી ક્યાં ગઈ હતી. તેની સાથે ચીન સાથેના યુદ્ધ સમયના લશ્કરી વડા મનોજ નરવણેએ નિવૃત્તિ પછી લખેલા પુસ્તકને સરકાર કેમ પ્રકાશિત થવા દેતી નથી તેવા અણિયાળા સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ લશ્કરી વડા મનોજ નરવણેએ વડાપ્રધાન મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ સાથે તે સમયે કરેલા સંવાદને આ પુસ્તકમાં ટાંક્યો હોવાથી શાસક પક્ષને તેમની ઇમેજના તૂટવાનો ડર લાગે છે. મનોજ નરવણેને ટાંકીને મારા બેથી ત્રણ વાક્યોની સાથે તેમની આખી આ ઇમેજ ધરાશાયી થઈ ગઈ હોત, તેથી જ તેમના પક્ષના સાંસદોએ લોકસભામાં હોહા કરીને મને બોલવા ન દીધો. જો કે ભાજપે પણ રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા હોય તેમ મનોજ નરવણેનો તે જ સમયનો વિડીયો જારી કરીને જણાવ્યું હતું કે ભારતે એક ઇંચ જમીન પણ ચીનના હાથે ગુમાવી નથી. તેની સાથે કટાક્ષ કર્યો હતો કે અમે નેહરુના યુગને ઘણો પાછળ છોડી દીધો છે, જેમણે ચીનની દાદાગીરીને છૂટો દોર આપી દીધો હતો. નેહરુની નીતિઓના કારણે ભારતે તિબેટ પરનો અંકુશ ગુમાવવો પડયો હતો.હવે આ જ પક્ષના નેતા વર્તમાન સરકાર પર આક્ષેપ કરે છે ત્યારે તે કયા મોઢે આક્ષેપ કરે છે.

રાહુલ ગાંધીનું કહેવું હતું કે વર્તમાન સરકાર પૂર્વ લશ્કરી વડા નરવણેનું પુસ્તક છપાવવા દેતી નથી, કારણ કે તેમના કારણે તેમને તેમની ઇમેજ તૂટવાનો ડર લાગે છે. તેની સામે રાજનાથસિંહે જણાવ્યું હતું કે જો નરવણેનું પુસ્તક અમે અટકાવ્યું હોત તો તેઓ કોર્ટમાં ગઈ શક્યા હોત. રાહુલ ગાંધીએ આ અપ્રકાશિત પુસ્તક પરના લેખને ટાંકીને સંસદમાં પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનું કહેવું હતું કે મનોજ નરવણેના પુસ્તકમાં કંઇક એવું છે જેનાથી શાસક પક્ષ ડરે છે. વાસ્તવમાં તો સરકારે આ પુસ્તક પ્રકાશિત થવા દેવું જોઈએ, જેના પરથી લશ્કરથી લઈને રાજકીય નેતાગીરીએ તે સ્થિતિનો સામનો કઈ રીતે કર્યો હતો તેનો ખ્યાલ આવે. સરકારે અહીં તેનાથી એકદમ વિપરીત અભિગમ જ અપનાવ્યો છે.
તેમનું કહેવું હતું કે પારદર્શકતાના દાવા કરતી સરકાર સત્યથી કેટલી ડરે છે તેનો પુરાવો પૂર્વ લશ્કરી વડાનું અપ્રકાશિત પુસ્તક છે. રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે ગૃહમાં મને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાને લઈને બોલવા ન દેવાયો. રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ડોકલામનો મુદ્દો ઉઠાવતા હંગામો મચી ગયો હતો અને ચાર વાગ્યા સુધી સંસદ સ્થગિત કરી દેવાઈ હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચાની માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું ફક્ત એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે પૂર્વ લશ્કરી વડા નરવણેએ પોતાના પુસ્તકમાં પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અંગે સીધી અને સ્પષ્ટ વાત કરી છે. આ વાત એક લેખમાં આવી છે. હું આ લેખને ટાંકીને વાત કહી રહ્યો છું, પરંતુ મને બોલવા દેવાયો નથી. તેઓ ડરી ગયા છે. તેમને ડર છે કે જો પુસ્તક પ્રકાશિત થયું તો નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહની સાચી વાતની ખબર પડી જશે. લોકોને તે પણ ખબર પડશે કે ચીન આપણી સામે ઊભું હતું અને આગળ વધી રહ્યુ હતુ ત્યારે ૫૬ ઇંચની છાતીનું શું થયું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને વિષય બહારની વાત પર બોલવા બદલ વારંવાર રોક્યા હતા, તેના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું તો અગાઉના સ્પીકર તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી હોવાના આરોપો મૂક્યા તેનો જવાબ આપી રહ્યો હતો. રાહુલ ગાંધીને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી સાંસદોએ ટેકો આપ્યો હતો.
ભાજપે વળતો જવાબ આપતા ૨૦૨૦માં નરવણેનો વિડીયો જારી કર્યો હતો, જેમા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણે એક ઇંચ પણ જમીન ચીન સામે ગુમાવી નથી. તેની સાથે રાહુલ ગાંધી પર હકીકતને તોડી મરોડીને રજૂ કરવાનો તથા પૂર્વ સેના પ્રમુખને બિનજરુરી રીતે વિવાદમાં ઘસેડવાનો આરોપ મૂક્યો હતો.

