NATIONAL : રેલવે કર્મચારીઓને ‘દિવાળી’, કેન્દ્ર સરકારે 78 દિવસનું બોનસ જાહેર કર્યું

0
59
meetarticle

કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આજે 24 સપ્ટેમ્બરના રોજ 10.91 લાખથી વધુ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે. જેના માટે કેન્દ્ર સરકાર રૂ. 1865.68 કરોડ ફાળવશે. સરકારે જણાવ્યું કે, રેલવે કર્મચારીઓને આ બોનસની ચૂકવણી દિવાળી પહેલાં જ કરવામાં આવશે.

આ કર્મચારીને મળશે બોનસ

આ બોનસનો લાભ રેલવેના ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેક મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, ટેક્નિશિયન હેલ્પર, પોઈન્ટસમેન, રેલવે મંત્રાલયના કર્મચારી અને અન્ય ગ્રૂપના કર્મચારીઓને મળશે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેજેટેડ રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની દક્ષતા તથા પર્ફોર્મન્સમાં સુધારા માટે આપવામાં આવે છે. ગતવર્ષે આશરે 11 લાખ  કર્મચારીઓને બોનસ મળ્યું હતું. જેનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું.

આ બોનસથી સ્થાનિક વપરાશને વેગ મળશે

મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી બેઠકમાં બોનસની જાહેરાત નિશ્ચિત છે. રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી ઘરેલુ ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે. આ તહેવારોની સીઝનમાં એક તો જીએસટી ઘટાડાનો લાભ તેમજ બોનસની લ્હાણીના કારણે સ્થાનિક વપરાશ વધવાની અપેક્ષા છે.

બિહારમાં રેલવેના ડબલ લેનને મંજૂરી

મોદી કેબિનેટે બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સુધી રેલવેના ડબલ લેનને મંજૂરી આપી છે. જેમાં રૂ. 2192 કરોડનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યારસુધી આ સિંગલ લાઈન હોવાથી તેની ક્ષમતા મર્યાદિત હતી. ડબલ લેન થયા બાદ તેની ક્ષમતા વધશે. રેલવે મંત્રાલય અનુસાર, તેની લંબાઈ 104 કિમી રહેશે. જે બિહારના ચાર જિલ્લાને આવરી લેશે. જેનાથી રાજગીર, નાલંદા, પાવાપુરી સહિત ટોચના શહેરો સુધી રેલવે સેવામાં સુધારો થશે. 

રેલવે કર્મચારીઓએ કરી હતી માગ

રેલવે કર્મચારી સંગઠનોએ આ મહિને પણ માંગ કરી છે કે સરકાર પ્રોડક્ટિવિટી બોનસમાં વધારો કરે અને આઠમા પગાર પંચની સ્થાપના કરતું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) એ જણાવ્યું હતું કે અત્યાર સુધી છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર રૂ. 7,000ના આધારે બોનસ આપવામાં આવી રહ્યું છે. જ્યારે સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂ. 18,000 છે. IREFના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે તેને ‘અત્યંત અન્યાયી’ ગણાવ્યું. ઓલ ઈન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન (AIRF) એ પણ બોનસની ગણતરીમાં માસિક મર્યાદા રૂ. 7,000 દૂર કરવા અને વર્તમાન પગાર માળખા મુજબ તેને વધારવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here