અજિત પવાર પ્લેન ક્રેશ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મોટી કાર્યવાહી કરી છે. DGCAએ વિશેષ સુરક્ષા ઓડિટ રિપોર્ટના આધારે VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના ચાર વિમાનોને તાત્કાલિક ગ્રાઉન્ડિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ વિમાનો મુખ્યત્વે લિયરજેટ મોડેલના છે, જેના રજિસ્ટ્રેશન નંબર VT-VRA, VT-VRS, VT-VRV અને VT-TRI છે. ઓડિટમાં ઉડાન યોગ્યતા, ઉડાન સંચાલન અને સુરક્ષા પ્રક્રિયાઓમાં અનેક ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા છે, જેના કારણે કંપનીની જાળવણી પ્રક્રિયાઓમાં ખામી સામે આવી છે.

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી
આ નિર્ણય બારામતીમાં 28 જાન્યુઆરીના રોજ સર્જાયેલી ઘાતક વિમાન દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં VSR વેન્ચર્સના લિયરજેટ 45 વિમાન (VT-SSK)ના ક્રેશ થવાથી મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત 5 લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બારામતી એરપોર્ટ પર બીજા લેન્ડિંગ પ્રયાસ દરમિયાન ખરાબ દૃશ્યતાને કારણે સર્જાઈ હતી. આ દુર્ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રમાં સુરક્ષા ચિંતા વધારી દીધી છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં VSR કંપની સાથે જોડાયેલો આ ત્રીજી મોટી દુર્ઘટના હતી.
બારામતી દુર્ઘટના બાદ તરત જ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ હાથ ધરી હતી, જ્યારે DGCAએ કંપનીની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ તપાસ માટે એક ટીમ બનાવી હતી. હવે કાર્યવાહી કરતા DGCAએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી સતત ઉડાન યોગ્યતા ધોરણો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આ VSR વિમાનો ઉડાન નહીં ભરી શકશે. કંપનીને ખામી રિપોર્ટિંગ ફોર્મ જારી કર્યા છે, જેમાં રુટ કોઝ એનાલિસિસ જમા કરવા માટે કહ્યું છે. આ કાર્યવાહી ઉડ્ડયન સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઓડિટમાં શું આવ્યું સામે
4 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ચાલેલા આ ઓડિટમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ આર.કે. આનંદની આગેવાની હેઠળની ટીમે કંપનીના તમામ પાસાઓની તપાસ કરી છે. રિપોર્ટમાં જરૂરી પ્રક્રિયાઓનું પાલન ન કરવું, જાળવણીમાં બેદરકારી અને સલામતી ધોરણોનો અભાવ સહિત ગંભીર ખામીઓ સામે આવી છે. આ તારણોએ DGCAને કડક કાર્યવાહી માટે મજબૂર કર્યું, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાઈ. આ ઓડિટ દુર્ઘટના પછીની તપાસનો મુખ્ય ભાગ હતો, જેણે કંપનીની જવાબદારી નક્કી કરવામાં મદદરૂપ સાબિત થયું.સુરક્ષા નિયમો કડક કરવાનો નિર્ણય
DGCAએ બિન-શિડ્યુલ્ડ ફ્લાRટ્સ માટે નવા કડક સુરક્ષા નિયમો જાહેર કર્યા છે. તાજેતરની અનેક વિમાન દુર્ઘટનાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એનએસઓને પોતાના વિમાનોની જાળવણી ઈતિહાસ, ઉંમર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવી પડશે. આ સાથે જે તેની સુરક્ષા રેન્કિંગ પણ જાહેર કરવામાં આવશે. DGCAએ સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષા ચૂકનો દોષ માત્ર પાયલટ પર જ ઠોપી શકાય. કંપનીએ વરિષ્ઠ મેનેજર અને નેતૃત્વ પણ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. પાલન ન કરનારા પાયલટ્સનું લાઈસન્સ પાંચ વર્ષ સુધી સસ્પેન્ડ થઈ શકે છે. જૂના વિમાનો અને માલિકી બદલનારા વિમાનોનું નિરીક્ષણ પણ વધારવામાં આવશે.

