NATIONAL : અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ

0
16
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કરી અને હવે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારની રૂપરેખા પણ જાહેર થઈ ગઈ છે ત્યારે આ વેપાર કરાર અંગે ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે રવિવારે જણાવ્યું કે, અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં છે. જોકે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે તો ૨૫ ટકા ટેરિફ ફરી લાગુ પડી જશે તે મુદ્દે પીયુષ ગોયલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. પરિણામે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે રહસ્ય યથાવત્ રહ્યું છે.ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારના સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે રવિવારે કહ્યું કે, અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ અથવા એલએનજી, એલપીજીની ખરીદી ભારતના પોતાના રણનીતિક હિતોમાં છે, કારણ કે આપણે પોતાના ક્રૂડ ઓઈલના સ્રોતોમાં વૈવિધ્ય લાવી રહ્યા છીએ. જોકે, પીયુષ ગોયલે અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઈલને મુદ્દો બનાવવા અંગેના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દે વિદેશ મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

અમેરિકા સાથે વેપાર કરાર મુદ્દે પીયુષ ગોયલને સવાલ કરવામાં આવ્યો કે રશિયન ક્રૂડ ઓઈલ અથવા ડિફેન્સની બાબતો પર દ્વિપક્ષીય સહમતી ના બને તો શું તેની અસર ટ્રેડ ડીલ પર પડશે? જવાબમાં ગોયલે કહ્યું કે, ના, ટ્રેડ ડીલ પર તેની કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, ટ્રેડ ડીલમાં એ નક્કી નથી થતંઅ કે કોણ કોની પાસેથી શું ખરીદશે. 

ગોયલે કહ્યું કે, ટ્રેડ ડીલ વેપારના રસ્તાને સરળ બનાવે છે અને પ્રાથમિક્તાના આધારે પહોંચને સુનિશ્ચિત કરે છે. મુક્ત વેપાર કરારનો આશય જ પ્રાથમિક પહોંચ આપવાનો થાય છે.

બીજીબાજુ રશિયન ક્રૂડ ઓઈલના સંદર્ભમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકારી આદેશમાં અમેરિકન વાણિજ્ય સચિવને ભારત પર નિરીક્ષણ રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ભારત ફરીથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ ના કરી દે. ટ્રમ્પના આદેશમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારત ફરીથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરશે તો ભારત પર ફરીથી દંડ સ્વરૂપે ૨૫ ટકાનો ટેરિફ લાગુ કરી દેવાશે.

જોકે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનો વિવાદ હજુ પણ યથાવત્ છે. કારણ કે ભારતીય વિદેશ મંત્રાલયને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી અંગે સવાલ કરવામાં આવતા વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત તેના ૧૪૦ કરોડ લોકોને ધ્યાનમાં રાખીને આ અંગે નિર્ણય કરશે. ભારતીય કંપનીઓએ ક્રૂડ ઓઈલ અને એનર્જી સંબંધિત ઉત્પાદનો ક્યાંથી ખરીદવા તેનો નિર્ણય તેમણે લેવાનો છે. તેનાથી એક બાબત સ્પષ્ટ છે કે અમેરિકા સાથે થયેલા વેપાર કરારમાં રશિયન ક્રૂડનો કોઈ ઉલ્લેખ નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here