ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જયપુરની મુલાકાત દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા છે. નીતીશ કુમારના રાજ્યસભામાં શપથ લેવા અંગે તેમણે ભાજપ પર દગો આપવાનો આરોપ લગાવ્યો હતો.

INDIA ગઠબંધન ઈચ્છતું હતું કે, નીતિશ PM બનીને નિવૃત્ત થાય : અખિલેશનો કટાક્ષ
અખિલેશ યાદવે (Akhilesh Yadav) નીતીશ કુમાર (Nitish Kumar) અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ‘હું તો ઈચ્છતો હતો કે તેઓ વડાપ્રધાન તરીકે રિટાયર થાય. અમારા ઈન્ડિયા ગઠબંધનના ઘણા સાથીઓનો પ્રયાસ હતો કે તેઓ વડાપ્રધાન બનીને નિવૃત્ત થાય. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે અને લાગી રહ્યું છે કે, તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે રિટાયર થશે. વિચારો કે ભાજપે તેમને કેટલો મોટો દગો આપ્યો છે. તેમના લોકો સાથે કેટલો મોટો દગો થયો છે.’
‘ભાજપના નેતાઓમાં એક વાત ઘણી સારી છે’
અખિલેશે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘જ્યાં ભાજપ છે ત્યાં પીડા છે અને જ્યાં પીડા છે ત્યાં પીડીએ છે. હું અહીં પીડીએનો છોડ લગાવવા પણ આવ્યો છું. ભાજપના નેતાઓમાં એક વાત ઘણી સારી છે કે, તેઓ ક્યારેય પાછળ વળીને જોતા નથી. તેઓ જે વાત એકવાર કહે, તે પૂરી થઈ છે કે નહીં તે જોતા નથી. ભાજપ નેતાઓએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ મોંઘવારીનો હિસાબ લગાવો તો ખેડૂતની આવક કેટલી વધી હશે?’

