જમ્મુ-કાશ્મીર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લેતા 120 વર્ષ જૂના મોહરા પાવર પ્રોજેક્ટને ફરીથી કાર્યરત કરવાની જાહેરાત કરી છે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. જેના પગલે હવે કાશ્મીરમાં પડતર રહેલા હાઈડ્રો પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની જાહેરાત
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભામાં જણાવ્યું કે, 1990 ના દાયકાથી બંધ પડેલા 1.5 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નવીનીકરણ અને આધુનિકીકરણ જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.
એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો
બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં જેલમ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ ભારતનો સૌથી જૂનો હાઈડ્રો પાવર સ્ટેશન છે. જેની સ્થાપના: 1905 માં થઇ હતી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત 10 કિલોમીટર લાંબી લાકડાની નહેર છે. જે પહાડોના કિનારે બનાવવામાં આવી હતી. તે સમયે ઓછા ખર્ચે પાણીને રામપુરથી મોહરા સુધી પહોંચાડવાનો આ એક અદભૂત કીમિયો હતો. તે સમયે આ પ્લાન્ટ માટે ખાસ ટર્બાઈન ચેકોસ્લોવાકિયાથી મંગાવવામાં આવ્યા હતા. 1992 માં આવેલા વિનાશક પૂરને કારણે આ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું હતું અને ત્યારબાદ તેનું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
પાકિસ્તાન માટે કેમ છે મોટો ઝટકો?
ભારત સરકાર હવે જેલમ અને અન્ય નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી જેલમ નદીના પાણીનો ઉપયોગ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કરશે. જે પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહ પર અસર કરશે. જમ્મુ-કાશ્મીર સરકારે 2035 સુધીમાં વીજ ઉત્પાદન 3540 મેગાવોટથી વધારીને 11,000 મેગાવોટ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. પાકિસ્તાન હંમેશા ભારતના કિશનગંગા જેવા પ્રોજેક્ટ્સમાં અડંગા નાખતું આવ્યું છે, પરંતુ હવે ભારતે પોતાની નદીઓના 100% પાણીનો ઉપયોગ કરવાની મક્કમતા દર્શાવી છે.
વારસા અને સંસ્કૃતિનું જતન
નિષ્ણાતો માને છે કે 10.5 મેગાવોટની ક્ષમતા ભલે ઓછી હોય, પરંતુ આ ઐતિહાસિક પ્રોજેક્ટનું પુનરુત્થાન સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. આ પ્રોજેક્ટને અગાઉ હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ હતો.
