વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ભારતની પહેલી હાઈ-સ્પીડ રિજનલ ટ્રેન નમો ભારત અને મેરઠ મેટ્રોને લીલીઝંડી બતાવી હતી. આ સાથે વડાપ્રધાને મેરઠમાં રૂ. ૧૨,૯૩૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન પણ કર્યું હતું. આ હાઈ-સ્પીડ ટ્રેનના પગલે મેરઠ અને દિલ્હી વચ્ચેનું ૮૨ કિ.મી.નું અંતર હવે માત્ર ૫૫ મિનિટમાં પૂરું થઈ શકે. આ સમયે વડાપ્રધાન મોદીએ એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસ કાર્યકરોના ‘શર્ટલેસ’ દેખાવોને ‘ગંદા અને નંગા’ રાજકારણ સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસે એઆઈ સમિટને તેના ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મેરઠમાં શતાબ્દિ નગર સ્ટેશન પર આયોજિત ભવ્ય કાર્યક્રમમાં નમો ભારત અને મેરઠ મેટ્રોનું ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાને લીલીઝંડી બતાવી આ ટ્રેનો રવાના કરી હતી. સાથે જ ભારત હવે એવા પસંદગીના દેશોમાં જોડાઈ ગયું છે જ્યાં એક જ ટ્રેક પર હાઈ-સ્પીડ રિજનલ ટ્રેન નમો ભારત અને સ્થાનિક મેટ્રો મેરઠ મેટ્રો બંને દોડતી હોય.

નમો ભારત ટ્રેન મેરઠથી દિલ્હીનું ૮૨ કિ.મી.નું અંતર હવે માત્ર ૫૫ મિનિટમાં પૂરું કરશે. નમોભારત ટ્રેન લાંબા અંતરના પ્રવાસીઓને મેરઠથી દિલ્હી-ગાઝિયાબાદ સુધી હાઈસ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડશે. જ્યારે મેરઠ મેટ્રો શહેરની અંદર પ્રવાસીઓ માટે સ્થાનિક સ્તરે પરીવહન સરળ બનાવશે.
ભારતની પહેલી રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ નમો ભારત પ્રતિ કલાક ૧૮૦ કિ.મી.ની ઝડપે દોડવા ડિઝાઈન કરાઈ છે. જોકે, હાલ આ ટ્રેન પ્રતિ કલાક ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડશે. આ ટ્રેન દિલ્હી અને મેરઠની સાથે શાહિબાબાદ, ગાઝિયાબાદ અને મોદીનગરને પણ જોડશે. બીજીબાજુ મેરઠ પેટ્રો પણ ભારતની સૌથી ઝડપી મેટ્રો સિસ્ટમ છે. મેરઠ મેટ્રો પ્રતિ કલાક ૧૨૦ કિ.મી.ની ઝડપે દોડશે. મેરઠ મેટ્રો ૨૩ કિ.મી.નો તેનો સંપૂર્ણ પ્રવાસ માત્ર ૩૦ મિનિટમાં પૂરો કરશે.
એક જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નમો ભારત અને મેરઠ મેટ્રોનું એકીકરણ હાઈ-સ્પીડ ઈન્ટરસિટી પ્રવાસ અને શહેરની અંદર ઝડપી પરિવહન સક્ષમ બનાવશે. આ પ્રોજેક્ટ ભારતમાં શહેરી અને પ્રાદેશિક પરિવહનના એકીકરણ માટે બેન્ચમાર્ક સમાન છે. આ સાથે વડાપ્રધાન મોદીએ મેરઠમાં રૂ. ૧૨,૯૩૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું.
મેરઠમાં નમો ભારત અને મેરઠ મેટ્રોના ઉદ્ધાટન સાથે જનસભાને સોંબોધન કરતા પીએમ મોદીએ દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં યુવા કોંગ્રેસ કાર્યકરોએ કરેલા ‘શર્ટલેસ’ દેખાવોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે એક વૈશ્વિક આયોજનને પોતાના ગંદા અને નંગા રાજકારણનો અખાડો બનાવી દીધું. કોંગ્રેસનું આ કૃત્ય બતાવે છે કે તે વૈચારિકરૂપે દેવાળીયા અને દરીદ્ર થઈ ગઈ છે.
તેમણે ઉમેર્યું કે, એકતરફ દેશવાસીઓ ભારતને વિકસિત બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે ત્યારે દેશમાં કેટલાક રાજકીય પક્ષો ભારતની સફળતા પચાવી શકતા નથી. એઆઈ સમિટ ભાજપનો કાર્યક્રમ નહોતો. આ સમિટમાં વિદેશી અતિથિઓ સામે કોંગ્રેસના નેતા કપડાં ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસને પૂછવા માગું છું કે દેશ તો જાણે જ છે કે તમે પહેલાથી જ નંગા છો તો કપડા ઉતારવાની જરૂર શું હતી?

