બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત ‘મોનથા’એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ 90-100 kmph) આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરૂ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે. IMD અનુસાર, મોનથા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે.
28-29 ઓક્ટોબરના રોજ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને 29 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના 34 ગામોમાંથી 6000થી વધુ લોકોને (જેમાં 428 ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં 27-28 ઓક્ટોબરના રોજ શાળાઓ બંધ રહેશે. ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત 8 દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. NDRF અને SDRF ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. IMD અનુસાર, આ ચક્રવાતી તોફાન 28 ઓક્ટોબરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઓક્ટોબરની રાત્રે 100 કિમી/કલાકની ઝડપે પવન સાથે આ ગંભીર ચક્રવાત આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. મોનથા વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27 થી 30 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ભારતીય સેના હાઈ એલર્ટ પર છે.
ચેન્નાઈથી 600 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કાકીનાડા (આંધ્ર)થી 680 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, વિશાખાપટ્ટનમથી 710 કિમી દૂર, પોર્ટ બ્લેયરથી 790 કિમી પશ્ચિમ, ગોપાલપુર (ઓડિશા)થી 850 કિમી દક્ષિણમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
તમિલનાડુમાં, આંધ્ર પ્રદેશમાં કાકીનાડા, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડમાં આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિસૂર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ માટે યલો એલર્ટ જાહેર છે. આ સાથે જ, માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ 29 ઓક્ટોબર સુધી તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠાની સાથે-સાથે દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં ન જાય.
ઓડિશા સરકારે રવિવારથી સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે અને આઠ જિલ્લાઓમાં 128 NDRF ટીમો તૈનાત કરી છે. વાવાઝોડું આંધ્રમાં ટકરાશે, પરંતુ ઓડિશાના 15 જિલ્લાઓ પ્રભાવિત થશે. મલકાનગિરિ, કોરાપુટ સહિત આઠ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ અને તેજ પવનો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને 30 ઓક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.

