NATIONAL : યુદ્ધ વચ્ચે ઈરાન-ઈઝરાયલ સહિત 6 દેશોના વિદેશમંત્રીઓ સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત, તણાવ ઘટાડવા અપીલ

0
22
meetarticle

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત ‘બેલેન્સિંગ એક્ટ’ ની વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલ સહિત કુલ 6 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તણાવ ઘટાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ઈઝરાયલ અને ઈરાન સાથે સીધો સંવાદ

અહેવાલો અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકરે સંઘર્ષના બંને મુખ્ય પક્ષો સાથે વાતચીત કરી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈઝરાયલી વિદેશ મંત્રી ગિદોન સાર સાથેની વાતચીતમાં એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ વિવાદનો ઉકેલ માત્ર રાજદ્વારી વાતચીત દ્વારા જ શક્ય છે. જ્યારે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથેની ચર્ચામાં ભારતે તાજેતરના હુમલાઓ અને વળતા હુમલાઓ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતનો પ્રયાસ છે કે આ સંઘર્ષ વધુ વકરે નહીં.

લાખો ભારતીયોની સુરક્ષા પર વિશેષ ધ્યાન

ભારતની સૌથી મોટી ચિંતા ખાડી દેશોમાં વસતા લાખો ભારતીય કામદારોની સલામતી છે. આ સંદર્ભમાં એસ. જયશંકરે કુવૈત અને કતારની નવીનતમ સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી. બહેરીન અને યુએઈ આ બંને દેશોએ ભારતને ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીના સમયે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

આર્થિક અને માનવ સુરક્ષા પર જોખમ

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે જો આ તણાવ વધશે તો તેની અસર માત્ર વૈશ્વિક અર્થતંત્ર (ક્રૂડ ઓઈલના ભાવ વગેરે) પર જ નહીં, પરંતુ માનવ સુરક્ષા પર પણ ગંભીર રીતે પડશે. નોંધનીય છે કે, આ કટોકટીના સમયમાં તમામ મુખ્ય ખાડી દેશોનું ભારત સાથે ઊભા રહેવું એ ભારતની મોટી રાજદ્વારી જીત ગણી શકાય. ભારત હાલમાં બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવીને શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here