ઉત્તરપ્રદેશના બહરાઇચના કૌડિયાલા નદીમાં બોટ પલટી ગઈ છે. આ બોટમાં 28 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ગુમ થયા છે, 6 લોકોને બચાવી લેવાયા છે. NDRF અને SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપી હેડક્વાર્ટરે સંજ્ઞાન લીધું છે. ડીજીપી હેડક્વાર્ટર તરફથી રાહત કાર્યની દેખરેખ કરાઈ રહી છે.

જણાવી દઈએ કે, ભારત-નેપાળના બોર્ડર નજીકના જિલ્લા બહરાઇચના ભરથાપુર ગામ કતર્નિયાઘાટના ગાઢ જંગલ અને ગેરુઆ નદીની પાર વસેલું છે. કતર્નિયાઘાટ વાઇલ્ડ લાઇફથી થઈને વહેતી ઈન્ડો નેપાળ બોર્ડર કૌડિયાલા નદી નેપાળના પહાડોમાંથી નીકળીને ભારતીય બોર્ડરમાં ઘાઘરા નદીમાં મળે છે.
ભરથાપુર ગામના લોકો બહરાઇચના બોર્ડરના જિલ્લા લખીમપુર ખીરીના ખૈરટિયા ગામથી થઈને કૌડિયાલા નદીમાં બોટથી અવરજવર કરે છે, જેને ગામના લોકો સૌથી સુવિધાજનક માને છે.
કેવી રીતે બની ઘટના?
બુધવારે સાંજે ગામના લોકો બોટ પર સવાર થઈને ખૈરટિયા ગામથી ભરથાપુર ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન અંદાજિત સાંજે 6 વાગ્યે બોટ બેકાબૂ થઈને કૌડિયાલા નદીમાં પલટી ગઈ. દુર્ઘટનામાં ગામના અનેક લોકો ગુમ છે, જેમાં કેટલાક મહેમાન પણ હોવાનું જણાવાય રહ્યું છે. ઘટનામાં ચાર લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ગુમ લોકોમાં બોટ ચાલક સહિત અને લોકો ગુમ છે. ઘટનાની માહિતી લોકોએ પોલીસ અને તંત્રને આપી છે. પાણીના ભારે દબાણને લઈને ચૌધરી ચરણસિંહ ઘાઘરા બેરાજ ગેટ ખોલાયા હતા, જેને હવે બંધ કરાઈ રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે, દુર્ઘટના નદીના ભારે વહેણના કારણે બની છે.

