મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ અને ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરવાના કારણે ભારતમાં સતત ત્રીજા સપ્તાહે એલપીજીની અછત જોવા મળી રહી છે. જોકે, સરકાર માટે રાહતની વાત એ છે કે રિફિલ માટે બૂકિંગનું પ્રમાણ ઘટયું છે અને ઘરેલુ રાંધણ ગેસમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે, પરંતુ કમર્શિયલ એલપીજીમાં સરકારે હજુ પણ નિયંત્રણો ચાલુ રાખ્યા છે. એલપીજીની અછત વચ્ચે હવે આગામી સમયમાં ખાતર અને હીલિયમ ગેસની અછતના કારણે ખેતી અને ટેક્નોલોજી ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે.

દેશમાં ત્રણ સપ્તાહથી ચાલતા એલપીજી સંકટ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, હવે લોકોમાં ગભરાઈને એલપીજી સિલિન્ડરનું બૂકિંગ કરવાનું પ્રમાણ ઘટયું છે. દેશમાં રાંધણ ગેસનો પર્યાપ્ત સ્ટોક છે, છતાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
પેટ્રોલિયમ અને પ્રાકિૃતક મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, લોકો દ્વારા પેનિક બૂકિંગ એક સમયે દિવસના ૮૭ લાખથી વધુ સિલિન્ડરે પહોંચ્યું હતું, જે ૧૯ માર્ચે ઘટીને ૫૫ લાખ સુધી થઈ ગયું છે, જે દૈનિક સરેરાશ ૫૦થી ૫૫ લાખના બુકિંગની નજીક છે. બીજીબાજુ આ સમયમાં ૭,૫૦૦ ગ્રાહકો એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ થઈ ગયા છે.
જોકે, કમર્શિયલ એલપીજીનું રેશનિંગ હજુ ચાલુ છે. ગયા સપ્તાહે કમર્શિયલ સંસ્થાનોને ૧૧,૩૦૦ ટન કમર્શિયલ એલપીજી પૂરો પાડવામાં આવ્યો હતો. વધુમાં કાળાબજારી અને સંગ્રાહખોરીને ડામવા માટે શુક્રવારે દેશભરમાં ૪,૫૦૦ દરોડા પાડવામાં આવ્યા હતા અને ઓઈલ કંપનીઓએ ૧૮૦૦થી વધુ પેટ્રોલ પંપો તથા એલપીજી વિતરકોના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી.
દરમિયાન એલપીજીની અછત વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધની આગ ભારતના ખેતરો અને ફેક્ટરીઓ તથા ટેક્નોલોજી ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધના પગલે ઈરાને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી કરતા દુનિયાભરની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલનો પુરવઠો અટવાયા પછી હવે ખેડૂતો સામે ખાતરની અછતની સમસ્યા ઊભી થઈ છે. બીજીબાજુ ટેકનોલોજી ઉદ્યોગ માટે જરૂરી હીલિયમ ગેસની અછતનું પણ સંકટ ઊભું થઈ રહ્યું છે.
હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ તેમજ પ્રાકૃતિક ગેસની સાથે યુરિયાની અછત પણ ઊભી થવા લાગી છે. ટ્રેડ યુરિયાનો લગભગ અડધો હિસ્સો અને જંગી પ્રમાણમાં અન્ય ખાતરનો સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. વધુમાં ઈરાને કતરના એલએનજી પ્લાન્ટ પર હુમલો કરતા દુનિયાના સૌથી મોટા યુરિયા પ્લાન્ટમાં કામકાજ ખોરવાઈ ગયું છે. એલએનજીનો સપ્લાય ઘટવાથી ભારતે પણ તેના ત્રણ યુરિયા પ્લાન્ટમાં ઉત્પાદન ઘટાડયું છે.
મીડિયા અહેવાલ મુજબ નોર્ધર્ન હેમિસ્ફિયરમાં વાવેતરની તૈયારી ચાલે છે અને વિલંબનું માર્જિન ઓછું રહે છે. તેની સીધી અસર ખાદ્યાન્નની ઉપજ પર પડી શકે છે. સિગ્લન ગૂ્રપ મુજબ દુનિયાના ૨૦ ટકા ખાતરનું ઉત્પાદન ખાડી દેશોમાંથી થાય છે અને ૪૬ ટકા વૈશ્વિક યુરિયા સપ્લાય હોર્મુઝની ખાડીમાંથી થાય છે. ભારત તેના યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનો ૪૦ ટકાથી વધુ હિસ્સો મધ્ય-પૂર્વમાંથી આયાત કરે છે. આથી ભારતમાં ખાતરની વ્યાપક અછત સર્જાવાની આશંકા વધી રહી છે.
બીજીબાજુ આ યુદ્ધ વચ્ચે હીલિયમ ગેસની અછત અંગે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે. જોકે, ક્રૂડ ઓઈલની જેમ હીલિયમ ગેસનો સપ્લાય જોખમમાં મૂકાયો છે, જે વિશેષરૂપે ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે અત્યંત જરૂરી છે. યુદ્ધ પહેલા કતર દુનિયાના હીલિયમ સપ્લાયનો ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન કરતો હતો, પરંતુ કતર એનર્જીની રાસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર ડ્રોન-મિસાઈલ હુમલા પછી ઓપરેશન્સ અટકી ગયા છે. આથી આગામી સમયમાં ટેકનોલોજી ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
દરમિયાન એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે સરકાર સમક્ષ એરલાઈન ઉદ્યોગ પર ડિસેમ્બરમાં લગાવાયેલી ભાડાં મર્યાદા હટાવવા માગ કરી છે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે ભાડાં મર્યાદા નહીં હટાવાય તો એરલાઈન ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઈરાન કટોકટી પહેલાં પાકિસ્તાને તેની એરસ્પેસ પર પ્રતિબંધ મૂકવાના કારણે ભારતીય એરલાઈન્સ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પરિણામે હવાઈ ભાડાંમાં પણ વધારાની આશંકા વર્તાઈ રહી છે.

